કરું? તારી કોરી ભર્યાની નિશાની જ ન મળે !”
“નિશાની મેં કરી છે, અન્નદાતા ! નિશાની કરી છે. શાહુકારના કહેવાથી લખત ઉપર મેં મારે સગે હાથે ચેકડી મારી છે.”
“ચોકડી !” ચમકીને રા’ પૂછે છે : “આ લખત ઉપર ?” રા’ના હાથમાં દસ્તાવેજ છે, પણ એમાં ચોકડી નથી.
“હા, બાપુ ! કાળી રુશનાઈની મોટી એક ચેકડી – ચારે ખૂણા સુધીની ચોકડી.”
“તું ભૂલ્યો લાગછ, ભાઈ ! આ જો, આ લખત. આમાં ચોકડી કેવી? કાળું ટપકુંયે નથી.”
“ગમે તેમ થયું હોય, બાપુ ! પણ હું ભૂલ્યો નથી. આ જ લખત ઉપર મેં ચોકડી દીધી છે.”
સમસ્યા વસમી થઈ પડી. રા’એ મોંમાં આંગળી નાખી, લમણે હાથ ટેકવ્યું. એના વિશાળ લલાટમાં કરચલીઓ ખેંચાવા લાગી.
*
“શેઠ !” રા’એ શાહુકારને બોલાવ્યા. “શેઠ, કાંઈ કૂડ હોય તો કહી નાખજો, હો ! હું આ વાતનો તાગ લેવાનો છું.”
હાથ જોડી ઠાવકે મોંએ વાણિયો બોલ્યો : “મારે તો કહેવાનું જ ક્યાં છે? આ કાગળિયો જ એની જીભે કહેશે.”
“જોજો હો, શેઠ, વાંસેથી ગોટા વાળતા નહિ.” રા’નો સૂર અક્કડ બનતો ગયો.
“બાપુ ! હું કાંઈ નથી કહેતો : કાગળિયો જ કહેશે.” વાણિયાએ ટટ્ટાર છાતી રાખીને જવાબ વાળ્યો.
“શેઠ, હું રા’ દેસળ ! નાગફણિયું જડાવીને મારી નાખીશ, હો.”
“તો ધણી છો ! બાકી તો કાગળિયો એની મેળે બોલશે.”