પેટ કટાર નાખી હશે ને કાં એને એક ભવમાં બે ભવ થયા હશે. અને વાણિયાના તે શા ભોરોંસા ! દોરીને દઈ દે એવા લાલચૂડા." એમ કહેતાં બાઈ રડી પડ્યાં.
“એમાં ખાચર દાયરો મૂંઝાઈને બેઠો છે?”
“હા, માડી, એક કોર ભોકાભાઈને બીજી કોર હળવદનો રાજ – બેમાંથી પહેલું ક્યાં પહોંચવું?”
ચારણ ચાલી નીકળ્યો. સડેડાટ સીધો ડુંગરાની ધારે આવ્યો, આવીને આખી વાત કહી.
સાંભળીને ભોકો વાળો ઊંડા વિચારમાં પડ્યો. પછી એણે ગઢવીને કહ્યું: “નાજભાઈ, વેર કાંઈ થોડાં જૂનાં થઈ જાય છે?”
નાજભાઈ કહે, “ના, આપા !”
“તો પછી ચોટીલાના દાયરાને ખબર દ્યો કે અમે મળવા આવીએ છીએ.”
જઈને ભોકા વાળાએ કહ્યું:
“આપા રામા, ઊઠ ભાઈ ! ગીગીને ઊનો વાયે ન વાય. ઊઠ, પછી આપણો હિસાબ આપણે સમજી લેશું.”
પાંચસો ઘોડાંની હાવળે આભને ચીરી નાખ્યો. હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો.
હળવદમાં સાંજ પડી ગઈ છે. મોતીચંદ વાણિયો પોતાની પાછલી બારીએથી નદીએ આંટા ખાય છે. ત્યાં તો નદીકાંઠે ભૂરિયાં લટુરિયાં, રાખમાં રોળેલી પહાડી કાયાઓ, તુલસીના પારાવાળા બેરખા અને સિંદૂર આંજ્યો હોય એવી રાતીચોળ આંખેવાળા નાગડા બાવાની જમાતના પડાવ થાતા જોયા. સાથે ડંકા, નિશાન, હથિયાર અને ઘોડાં દેખ્યાં. વાણિયાએ પૂછ્યું :
“બાવાજી, ક્યાં રહેવું?”
“ચિત્તોડ!”