આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરજાંગ ધાધલ
૫૯
 

ઊજળું મોત

દેવા વાળાની ભીંસ વધી છે. એનો તાપ સહેવાતો નથી. ઢોળવાની સીમના શેઢા ઉપર વરજાંગનાં ઢોરને ચારવાની મના થઈ છે. એનાં છોકરાં પળી દૂધ પણ પામતાં બંધ થયાં છે. થાકીને વરજાંગે કુટુંબને રાણપર તેડાવી લીધું છે. પોતે દેવા વાળાનાં ગામડાં ભાંગતો ભાંગતો માંડણકુંડલાના સંધીઓની સાથે ભળ્યો છે. દેવા વાળાને હંફાવવાની વેતરણ કરી રહ્યો છે.

એમ કરતાં તો બાર મહિના વીત્યા. પારકરથી આવ્યા પછી વરજાંગે ઘરનું સુખ જાણ્યું નથી. આજે એને અધીરાઈ આવી ગઈ. કહેણ મોકલી દીધું કે “કાઠિયાણી, કાલે રાતે આવું છું.”

ઘોડી પલાણીને સાંજને પહોરે વરજાંગ નીકળ્યો. સંધીઓ વળાવવા જાય છે, પણ જ્યાં ડેલીથી ચાલ્યા ત્યાં તો ઘોડી ખેંચાણી. સુતાર સામો મળ્યો.

“વરજાંગ ભા !” સંધીઓએ વાર્યો, “આજ ઠેરી જાવ. અપશુકન થાય છે.”

“શુકન-અપશુકન તો બાયડિયુંને સોંપ્યાં, બા ! આપણે તો કેડે સમશેર એ જ સાચું શુકન.”

હઠીલો કાઠી માન્યો નહિ. સંધીઓ પાછા વળ્યા. વરજાંગનું ડાબું ડિલ ફરકવા માંડ્યું. તાજણ હટવા લાગી. પણ આજ વરજાંગથી રોકાવાય નહિ. આજ કાઠિયાણી વાટ જોશે. આખી રાત ઉચાટમાં ને ઉચાટમાં ઉજાગરો કરશે, અને અપશુકનથી બીને હું મોડો જઈશ તો માથામાં મે’ણાં મારશે. ચાલ, જીવ! આજ તો હવે આ બાંધ્યા હથિયારને રાણપરને ઓરડે મારી જોગમાયાના જ હાથ છોડશે.

પાદરમાં આવે ત્યાં તો વરજાંગે મીઠી શરણાઈ સાંભળી. પચાસ ઘોડેસવારો રંગભીના પોશાકમાં જતા હતા તેમણે