લાગ્યા કે “મારી બાયડી બીજે જાય ! એ કરતાં તે મોત ભલું ! મારું ! મરું !” પણ કોને મારે? કાટેલી તલવારને સજાવવાનાય પૈસા નહોતા.
જે વાણિયાને ત્યાં એની જાગીર મંડાણમાં હતી તેનાં ચરણ ઝાલીને ગરાસિયો કરગરી ઊઠ્યોઃ “કાકા, આજ મારી લાજ રાખો. મારું મોત બગડશે; મારી બાયડી જાશે તે પહેલાં તો મારે ઝેર પીને સૂવું પડશે. કાકા, એક હજાર આપ, મારી જાત વેચીને પણ ભરી દઈશ. આ ભવે નહિ અપાય તો ઓલ્યે ભવ તમારે પેટે જન્મ લઈને ચૂકવીશ.”
પણ વાણિયો પીગળ્યો નહિ. રજપૂત આ વેપારીના હાથે ઝાલીને રગરગ્યો. એની રાજબાને જાણે કે પોતાની નજર સામે જ કોઈ હાથ પકડી ખેંચી જાતું હતું.
કાકાએ કાગળ લીધો, કંઈક લખ્યું, “લ્યો, ભા, કરો આમાં સહી. અમારું તો વળી જે થાય તે ખરું.”
કાગળ વાંચીને રજપૂતનું લેાહી થંભી ગયું. એમાં લખ્યું હતું કે “એક હજાર પૂરા ન ભરું ત્યાં સુધી બાયડીને મા-બેન સમજીશ.”
રજપૂતે દસ્તાવેજ ઉપર દસકત કર્યા. દસ્તાવેજની નકલ લઈને રૂપિયા એક હજાર સાથે એ ચાલ્યો ગયો.
અને રાજબા એના મહિયરમાં બેઠી બેઠી શું કરે છે? ભરથારનાં સ્વપ્નાં જુએ છે. નજરે નહોતો તોયે જાણે આરસપહાણમાં કોઈ કારીગર પોતાની મનમાની પ્રતિમા કંડારતો હોય, તેમ એ બેઠી બેઠી પોતાના ગરીબ કંથની ચીંથરેહાલ મૂર્તિને અંતરમાં ચિંતવ્યા કરે છે. પિયરિયામાં ગોઠતું નથી. પોતાના ઘરની એને હૈયે ભૂખ લાગી છે.
જેઠ સુદ બીજને આભમાં ઉદય થયો. તે વખતે જમાઈ રાજે સાસરે આવીને ભર દાયરા વચ્ચે કોથળી મૂકી કહ્યું: "લ્યો,