“હીપા ખુમાણ ! વિચાર કરો. આ અંગ્રેજ સરકારની આવતી બાદશાહી : એકલું પાલીતાણું જ નથી, પણ આ સૌ રાજાઓની ભીંસ થાશે. અને એ તો સમદરનાં પાણી. ઝીંક ઝલાશે, આપા ?”
હેતુમિત્રોએ હીપા ખુમાણને બહારવટે નીકળતાં અટકાવવા માટે આવી રીતે સમજાવવા માંડ્યું.
“હું તો બીજું કાંઈ ન જાણું, મારે તો પાલીતાણા દરબારગઢની દેવડી વચાળે જ મારો રણસગો મંડાવવો છે.”
“પણ મરી મટવાથી શો લાભ ખાટવો છે, આપા હીપા ?”
“એવો હિસાબ તો આવડ્યો નથી. અને હવે પળિયાં આવ્યાં, હવે આવડશે નહિ. કહો, ભાઈ સૂરગ, ભાઈ ચાંપા, તમારો શો મત છે ?”
“અમે તો, બાપુ, જમીન પાછી ન મળે ત્યાં સુધી રાજકોટનું પાણી અગરાજ કરીને જ બેઠા છીએ.”
“ત્યારે પછી હવે શીદ તરશે મરવું ?”
બેય દીકરાને લઈ બાપ બેઠો થયો. હથિયાર-પડિયાર બાંધી, ઘોડીઓ રાંગમાં લઈ, બહાર નીકળી પડ્યા. પંદર જણાની એક નાની ફોજ ઊભી કરીને પાલીતાણાનાં ગામડાં ધમરોળવા માંડ્યાં. દરબારે હીપા ખુમાણના ગામ ઉપર થાણું બેસાડ્યું.
માહ મહિનો ચાલ્યો જાય છે. પણ પાલીતાણાની સીમમાં ઘઉંની વાડીઓ ઉજ્જડ પડી છે. કોસ જોડવા કણબીનો દીકરી કોઈ આવતો નથી. વાડીએ વાડીના કૂવા સૂનકાર છે.
એ ટાણે હીપા ખુમાણ પોતાની ટુકડીને લઈ ધામળાની સીમમાં ઘોડાં ફેરવે છે. પાસે નાણું નથી રહ્યું.
“ભાઈ સૂરગ, ભાઈ ચાંપા, ખરચીખૂટ બનીને બા’રવટાં નહિ ખેડાય. અને ગારિયાધારને માથે પડ્યા વગર સોનામોરુંના ખડિયા નહિ ભરાય.”
“સાચું, બાપુ !” સૂરગ બોલ્યો : “અને નરસી પીતામ્બરવાળાએ જ આપણો રોટલો રઝળાવ્યો છે. એટલે એની પાસે જ ખરચી માગીએ.”
સાથે એક શુકન જાણવાવાળો હતો. એણે કહ્યું : “બાપુ, આ ગઈ રાતે મહા મહિનાનું માવઠું થયું છે, અને આપણે માથે અણગળ પાણી પડ્યું છે.