અને એની ચાર વાડિયું ગગો ઇનામ દેતો ગયો ! લાજ્યો નહિ ?”
“અરે પણ, શેઠ, તમે તો આ શું લવરી કરો છો ? એને બાપડાને ખબર નહોતી અને ભૂલ કરી તો શું થઈ ગયું ? તમે પોતે કેવા મૂરખ કે એને વાતનો ફોડ પણ ન પાડ્યો ને ઊંધું માથું રાખીને મંડ્યા દસ્તાવેજ ઢરડવા !”
“હં....! પટેલ ! હું સમજું છું. શેર ચોખા વાવર્યા, ને તમારે તો આખું ગામ મળવાની લાલચ હશે !”
“અરે માળા લબાડ ! તું તે શું રાળી રહ્યો છો ? આપણા ગામને પાદરથી અઢાર વરણનું એક પણ માનવી ખાધા વગર કોઈ દી જાય નહિ, તો પછી આ તો ગોંડળનો ગાદીવારસ હતો ! એમાં મને શું લાલચ હતી ? જરાક ભગવાનનો તો ભો રાખ !”
“હં... અં ! અમે સમજીએં છીએં, પટલ, તમારે ગામ જોતું’તું, તે લ્યો. આ દસ્તાવેજ ડોઈને શિરાવી જાજો, કોઠો ઠરશે, સમજ્યા ને !”
કાળજું કાપી નાખે તેવાં મર્મનાં વચનો કાઢતો કાઢતો વાણિયો તો ચાલ્યો ગયો, અને પટેલ પણ પેટમાં કશા દુઃખધોખા વગર પાછો સાંતીડું જોડીને કામે વળગ્યો. પરંતુ વાત તો વાએ જેતપુર પહોંચી ગઈ. જેતપુરના ભાગીદાર જગા વાળાને જાણ થઈ કે આપણી કુંકાવાવની અંદર ગોંડળના પાટવી કુંવર પથુભાએ પટેલને ઘેર શિરામણ કર્યાના બદલામાં ભૂલભૂલથી ચાર વાડીઓ પટેલને ‘જાવચ્ચંદ્ર દિવાકરૌ’ માંડી દીધી. અને તે પછી બાપડા પટેલને માથે ગામના તળાટીએ માછલાં ધોયાં.
ખડ ! ખડ ! ખડ ! ખડ ! આખો દાયરો ગોંડળના કુંવરની નાદાની ઉપર દાંત કાઢવા લાગ્યો અને દરબાર જગા વાળાએ પણ જરાક હોઠ મરકાવ્યા.
“પણ, બાપુ, તળાટીએ પટેલને બહુ બનાવ્યા. ગામ આખાને ભારે સુવાણ કરાવી.”
“એમ કે, બા ! ઠીક, ત્યારે તો આપણેય રમોજ લઈએં. આંઈ બોલાવો ઈ પટેલને અને તળાટીને. ઓલ્યો દસ્તાવેજ પણ સાથે લાવવાનું લખજો.”
આ રીતે દરબારે હુકમ દીધો. દરબારના મન ઉપર કાંઈક કોચવણ