આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૨૨

ડમરી ચડી. દીવે વાટ્યો ચડી ત્યાં તો જૂનાગઢ-વણથલીથી સોલંકીઓનું દળકટક આલિદરને ઝાંપે દાખલ થયું. થાણદારે ગામફરતી એવી ચોકી બેસાડી દીધી કે અંદરથી બહાર કોઈ ચકલુંય ફરકી ન શકે. ઉતારામાં એણે એક પછી એક આહીર કોમના પટેલિયાએાને તેડાવી ઝરડકી દેવા માંડી : "બોલો, દેવાયત, બેાદડના ઘરમાં ડિયાસનો બાળ છે એ વાત સાચી ?"

તમામ આહીરેએ માથાં ધુણાવીને ના પાડી : "હોય, તો રામ જાણે; અમને ખબર નથી."

" બોલો, નીકર હું જીવતી ખેાળ ઉતરડી દઈશ. હાથેપગે નાગફણિયું જડીશ."

આહીરાણીનું ધાવણ ધાવેલા-એકવચની મુછાળાઓમાં આ દમદાટીથી ફરક ન પડયો.

પણ સોલંકીના થાણદારને કાને તો ઝેર ફૂકાઈ ગયું હતું. લાલચના માર્યા, કે અદાવતની દાઝે એક પંચોળી આહીરે ખુટામણ કર્યું હતું. થાણદારે દેવાયતને તેડાવ્યો. દેવાયતને ખબર પડી ગઈ હતી કે ઘર ફૂટી ગયું છે. એને સોલંકીએ પૂછયું : "આપા દેવાયત, તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઊઝરે છે એ વાત સાચી ?"

રૂપેરી હોકાની ઘૂંટ લેતાં દોંગું મોઢું કરીને દેવાયતે ઉત્તર દીધો : " સાચી વાત, બાપા ! સહુ જાણે છે. મલક છતરાયો જ નવઘણ મારે ઘેર ઊઝરે છે."

આલિદર-બોડીદરના આહીર ડાયરાનાં મોઢાં ઉપર મશ ઢળી ગઈ, સહુને લાગ્યું કે દેવાયતના પેટમાં પાપ જાગ્યું. દેવાયત હમણાં જ નવઘણને દોરીને દઈ દેશે.

"આપા દેવાયત !" થાણદારે મે'ણું દીધું : " રાજાના શત્રુને દુધ પાએ છો કે ? રાજનું વેર શીદ વહોર્યું ?