આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
કાળો મરમલ

"હમીરજીએ સોમનાથ સાટું શીશ કપાવ્યું, ચાંપરાજે પોતાના ગામ જેતપુર સાટુ મોત મીઠું કર્યું ; એભલના દીકરા અણાએ સતીને કાજે લોહી દીધાં; એમ કોઈ ધરમ સારુ, કોઈ ધેન સારુ, તો કોઈ સતી બહેન સારુ પોતપોતાના પ્રાણ દેતા આવ્યા છે, દેનારની બલિહારી છે, બાપ કાળા! પોતાના નાનકડા ગામટીંબાની લાજ કારણ પણ જે દેહ ખપાવે, એણેય જીવી જાણ્યું, નાનાં કે મોટાં – પરાક્રમ તો જેટલાં પરમાર્થે, એટલાં સહુ સરખાં જ વદે.”

અાવી અાવી કંઈકંઈ શૂરકથાઓ રામ ગઢવી સંભળાવતા અને જુવાન કાળો મરમલ ભાંગતી રાતના એ કવિમુખના પડતા બોલ ઝીલ્યા કરતો. ગીરકાંઠાનું પીપરિયું ગામ જ્યારે ભરનિદ્રામાં જંપી જતું, ત્યારે આ ચારણને અને કાઠીને જાણે કે દિવસ ઊગતો. કસૂંબાની કટોરી ભરીને પાતાની તથા કાળા મરમલની વચ્ચે મૂકી, ગઢવી ઉપર રંગ દેતા કે :

રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથરા,
ભુજ રાવણરા ભંજિયા, આલી જા ભમરા !

હે રંગીલા ઠાકર, હે દશરથના કુંવર રામચંદ્રજી, પહેલા રંગ છે તમને કે તમે રાવણની ભુજાઓ ભાંગી.

વળી ઝાઝા રંગ તો તમને એટલા માટે છે, હે નાથ! કે તમે તો –

રામા, રજપૂતી તણો, આડો વાળ્યો આંક,
લીધા પે'લી લાંક, ( તમે ) દીધી દશરથરાઉત !

૧૫૨