પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૧૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૧
વીરકન્યા તાજકુંવર



પઠાણોએ તેને જીતવાને ઘણાએ પ્રયત્નો કર્યા હતા, પણ પોતાની હયાતીમાં કિસોરાનું સ્વાતંત્ર્ય નહિ ગુમાવવાનો સજ્જનસિંહે દૃઢ સંકલ્પ કર્યો હતો.

એવા તેજસ્વી રાજપૂત વીરનાં સંતાન પણ તેજસ્વીજ હતાં. લક્ષ્મણસિંહ પણ વીરોચિત ગુણોમાં પિતાના જેવોજ હતો. કન્યા તાજકુંવરે પણ ક્ષાત્રકર્મમાં પૂરૂં નૈપુણ્ય પ્રાપ્ત કર્યું હતું. તીર ચલાવવામાં એ એવી નિપુણ હતી કે પૌરાણિક યુગના શરસંધાનમાં એક્કા ગણાતા યોદ્ધાઓનું તે સ્મરણ કરાવતી. ક્ષત્રિયો તેને ઘણું જ સન્માન આપતા અને દેવકન્યા સમાન ગણતા. એક પ્રસંગે એ પણ મુસલમાન સાથે યુદ્ધ કરવા ગઈ હતી. એ યુદ્ધમાં તેને વિજય મળ્યો હતો. કિસોરાના દરવાજા આગળ ડાબા હાથમાં શત્રુના લોહીથી ખરડાયેલો લાંબો ભાલો પકડીને અને જમણા હાથમાં રક્તમાંસથી તરબોળ થઈ ગયેલી તલવાર પકડીને ઘોડા ઉપર સવાર થયેલી એ દેવકન્યાને જોઈને કિસોરાની પ્રજાએ જયજયકાર કરી મૂક્યો હતો.

લક્ષ્મણસિંહ અને તાજકુંવરની માતા તેમને નાના મૂકીનેજ મરણ પામી હતી, ત્યારથી એ બન્ને ભાઈબહેન સંપીને આનંદપૂર્વક રહ્યાં હતાં. મૃગયાનો બન્નેને ઘણો શોખ લાગ્યો હતો.

એક દિવસ સૂર્યાસ્ત થવાને એકાદ કલાકની વાર હતી એ સમયે હથિયાર સજીને એ ભાઈબહેન, પિતાની આજ્ઞા લઈને ગંગાની આસપાસના પ્રદેશમાં શિકાર રમવા ગયાં હતાં. કિસોરાના જે પ્રદેશમાં થઈને ગંગાનો પુણ્ય પ્રવાહ વહી રહ્યો છે, તે પ્રદેશમાં બન્ને જણાં વાતો કરતાં કરતાં ધીમે ધીમે ઘોડેસવાર થઈને જતાં હતાં. વાયુની ઠંડી લહેરોનું સેવન કરતાં કરતાં તેઓ બન્ને જણ એક નાળા આગળ આવી પહોંચ્યાં.

લક્ષ્મણસિંહે પૂછ્યું: “કેમ બહેન ! તું એમ કહે છે કે તું મારા કરતાં વધારે પઠાણોને ઠાર મારીશ ?”

તાજકુંવરે કહ્યું: “હા, અવશ્ય !

લક્ષ્મણસિંહે જવાબ આપ્યો: “પણ બહેન ! તને હજુ પુરુષના બળની ખબર નથી.”

તાજકુંવરે કહ્યું: “ ત્યારે તમે મને બિલકુલ નિર્બળ સમજો છો ? ભાઈ !ખરેખાત હું તમારા કરતાં વધારે પઠાણોનેજ મારવાની.”