१३७–सती नागमती
કચ્છ દેશના “વાગડ” પ્રાંતના અગ્નિ ખૂણામાં “કાનમેર” નામનો એક જૂનો પહાડી કિલ્લો છે, એ કિલ્લામાં ઈ○ સ○ ની અગિયારમી સદીમાં કાનસૂવો ભેડો નામનો એક બળવાન કાઠી રાજા રાજ્ય કરતો હતો. પ૦ વર્ષની વય સુધીમાં તેને કોઈ સંતાન થયું નહોતું. તેની રાણી પણ આધેડ થઈ ચૂકી હતી. પુત્રની કામનાથી રાણીએ ખેતરપાળ નાગદેવતાની બાધા રાખી અને તેનું પૂજન કર્યું. તેની કૃપાથી એને મોટી વયે એક પુત્રી અવતરી. વાંઝિયાપણું ટળ્યું તેથી રાજારાણીના હર્ષનો પાર રહ્યો નહિ. નાગદેવતાની પ્રસાદીરૂપ ગણીને તેમણે કન્યાનું નામ નાગમતી પાડ્યું. એ કન્યાનું લાલનપાલન ઘણા પ્રેમથી થવા માંડ્યું; એટલું જ નહિ પણ યોગ્ય સમયે તેને સારૂં શિક્ષણ આપવાનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો. વયની સાથે એના સૌંદર્ય અને સદ્ગુણ બંન્નેનો વિકાસ થવા લાગ્યો. એ સમયના લોકો એમ માનવા લાગ્યા કે, કાનસૂવા ભેડાને ઘેર દેવાંશી નાગકન્યાએ જન્મ લીધો છે.
નાગમતીના રૂપલાવણ્ય તથા ગુણની કીર્તિ ચારે તરફના પ્રદેશમાં ફેલાઈ જતાં વાર લાગી નહિ. અનેક રાજકુમારો એને પરણવાની આશા બાંધવા લાગ્યા, અનેક રાજ્યો તરફથી નાગમતીને માટે માગાં આવવા માંડ્યાં, પરંતુ કાનસૂવાએ પુત્રીને વરાવવા માટે એક વિચિત્રજ શરત રાખી હતી. તેણે બધાને ઉત્તર વાળ્યા કે, “હું મારા દેશની ખેતીની ઉન્નતિ કરવા માગું છું, માટે જે કોઈ ખેતીની કળામાં સૌથી સારૂં જ્ઞાન અને અનુભવ ધરાવતું હશે તેનેજ હું મારી પ્રિય કન્યા વરાવીશ.” આ શરત બહાર પડતાં અનેક યુવકો વાગડમાં આવીને ખેતીનું શિક્ષણ લેવા લાગ્યા. ખેતીના જ્ઞાનની પરીક્ષા એવી હતી કે, એક પ્રાજા (સરકારી માપના આઠ એકર બરોબર જમીન) જમીનના સમચોરસ