વીરમતી બોલી: “પ્રાણનાથ ! દેશ અને ધર્મના રક્ષણ સારૂ હજારો વીર પુરુષોએ પોતાના પ્રાણ ખોયા છે. સાચા વીરપુરુષનું કામ તો મરવું અને મારવું એજ છે. તેને પ્રાણનો ભય હોતો નથી. રણક્ષેત્રમાં મરી જવાથી સીધા સ્વર્ગમાં જવાય છે. મુસલમાનો છળકપટથી કામ લે છે તો તે માટે તેમની કેટલી બધી નિંંદા થાય છે ? તમારે હાથે એવું નિંદનીય કૃત્ય ન થાય, તેની બહુ સંભાળ રાખવી જોઈએ. મારા પ્રાણ ! મારી નમ્ર વિનંતિ ઉપર ધ્યાન આપો અને મારી સૂચના પ્રમાણે કર્યું કરો.”
“હમણાં તો હું ફક્ત શત્રુઓનું બળ જોવા માટે જ જાઉં છું. તું નાહક ચિંતા શા સારૂ કરે છે ?” એટલું કહીને કૃષ્ણરાવ ઘોડા ઉપર સવાર થઈને ચાલી નીકળ્યો. વીરમતીથી એકલાં રહેવાયું નહિ. પતિ શત્રુઓના દળમાં જાય અને પોતે નિશ્ચિંત થઈને ઘેર બેસી રહે, એ તેનાથી સહન થઈ શક્યું નહિ. તેણે પુરુષનો વેશ ધારણ કર્યો અને એક તેજ ઘોડા ઉપર સવાર થઈને કૃષ્ણરાવ ગયો હતો તે રસ્તે જવા માંડ્યું. આગળ કૃષ્ણરાવ ઘોડો દોડાવતો જઈ રહ્યો હતો, પાછળ વીરમતી પણ ઘોડાને પૂરપાટ દોડાવતી જઈ રહી હતી. કૃષ્ણરાવને તો વીરમતીના પાછળ આવવાની ખબરજ નહોતી, પરંતુ કૃષ્ણરાવ પણ ઝાડીઓમાં એટલે દૂર નીકળી ગયો હતો કે, વીરમતીની દૃષ્ટિ તેના સુધી પહોંચી શકતી નહોતી. બેએક કલાક એ પ્રમાણે ચાલ્યા પછી વીરમતીએ થોડે દુર ઘોડાના પગનો ખખડાટ સાંભળ્યો અને એ બે માણસોને આ પ્રમાણે વાર્તાલાપ કરતાં સાંભળ્યા :–
“કોણ ?”
“અલાઉદ્દીન બાદશાહનો દોસ્ત.”
“તમારૂં નામ ?”
“કૃષ્ણરાવ.”
“વાહ ! કૃષ્ણરાવ ! શાબાશ ! શાબાશ ! મને એજ ફિકર થયા કરતી હતી કે તમે પાછા આવીને અમને બાતમી આપી શકશો કે નહિ ?”
“કેમ, એમાં શક લાવવા જેવું શું હતું ? એક વખત વચન આપી ગયા પછી મારાથી ફરી જવાય એમ થોડું જ હતું ? આજ હું ઘણી યુક્તિઓ કરીને આવ્યો છું; રામરાજાની આંખમાં ધૂળ