પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૭૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૩
રાણકદેવી


“બાળું પાટણ દેશ, જીસે પટોળાં નીપજે;
સરવો સોરઠ દેશ, લાખેણી મળે લોબડી.”

પછી ગુજરાતની કોઈ સ્ત્રીએ તેને પૂછ્યું કે, “તમે સિદ્ધરાજની રાણી છો?” તેના ઉત્તરમાં વીરાંગના રાણકદેવીએ ઉત્તર આપ્યો કે, “હું તો મારા કંથને એવી દશામાં મૂકીને આવી છું કે:—

“વાયે ફરકે મૂછડી, રયણ ઝબૂકે દંત;
જુઓ પટોળાંવાળી, લોબડીવાળીનો કંથ.
જે સાંચે સોરઠ ઘડ્યો, ઘડીયો રા’ખેંગાર;
તે સાંચો ભાંગી ગયો, જાતો રહ્યો લુહાર.”

પછી તે સ્ત્રીએ તેને પૂછ્યું કે, “એવું છે તારે તમારી આંખોમાં આંસુ કેમ નથી આવતાં?”

રાણકદેવી બોલી:—

“પાટણને પડતે, કહો તો કૂવા ભરાવીએ;
માણેરો મરતે, શરીરમાં સરણાં વહે.”

આટલા દિવસના સહવાસમાં સિદ્ધરાજ જોઈ શક્યો હતો કે રાણકદેવી સાચી સતી છે. તેના હૃદયમાંથી પતિભક્તિ લેશમાત્ર ઓછી થઈ નથી. સામ, દામ, ભેદ, દંડ આદિ ઉપાયો અજમાવીને સિદ્ધરાજે તેને વશ કરવાનો ઘણો એ પ્રયત્ન કર્યો, પણ સતી રાણકદેવીનું ચિત્ત કશાથી ચલિત થયું નહિ, પોતાના ઉપર કુદૃષ્ટિ રાખવા માટે તેણે સિદ્ધરાજનો ઘણોજ તિરસ્કાર કર્યો. સિદ્ધરાજ ગમે તેવો તોપણ સમજુ રાજા હતો. રાણી ઉપર નિરર્થક બળાત્કાર કરવાનું તેણે યોગ્ય ન ધાર્યું. તેણે રાણકદેવીનો ઘણો આદરસત્કાર કરીને પૂછ્યું: “તમારે ક્યાં રહેવાની ઈચ્છા છે ?” રાણકદેવીએ કહ્યું કે, “હું વઢવાણ ગામમાં રહીશ.” પછી સિદ્ધરાજ તેને લઈને વઢવાણ ગયો, ત્યાં ગયા પછી રાણકદેવીએ સતી થવાની ઈચ્છા દર્શાવી. ઉદારચિત્ત રાજા સિદ્ધરાજે તેની ઈચછા માન્ય રાખી અને ભોગાવા નદી આગળ સુગંધીદાર કાષ્ઠની ચિતા ખડકાવી; એ ચિતામાં શી રાણકદેવીને બેસાડીને સિદ્ધરાજે કહ્યું કે, “તું સાચી સતી હોઈશ તો અગ્નિ વગરજ ચિતા સળગો.” પછી રાણકદેવી ગામમાં દેવતા માગવા ગઈ પણ કોઈએ તેને દેવતા આપે નહિ, એટલે સૂર્યનારાયણને પગે લાગીને એ બોલી કે:—