માં પડેલાં છે. એ લોકજીવનની સામગ્રીઓ હતી તેથી તેની નોંધ રાખવાનું કામ કવિતાનું થઈ પડ્યું હતું.
૩. માનવી અને પશુજગત પર થતી કઈ કઈ અસરો આ કવિઓએ લક્ષ્યમાં લીધી છે? જેવી કે કાર્તિકમાં ગાયો-ભેંસોના દૂધ ઘાટાં બને, જઠરાગ્નિ દોઢી પ્રગટે. પોષમાં
ઉલટે ઓતર પોસ આયા, કામ પ્રગટે કામણી
કામિનીઓને કામ પ્રગટે; અથવા
મદમત હસ્તી કલા મેમંત, ત્રિયા મદછક દે ટલા
હાથીઓ, ઊંટો અને સ્ત્રીઓ મદમસ્ત બની ઘૂમે છે, વળી ઠંડી વધુ ઉગ્ર હોય તો અંગ પર કસ્તુરીના લેપ કરે :
કર લેપ ચંગં, મદ કુરંગં, કંત સંગં કામણી
નિર્ધનોને નિશા વસમી લાગેઃ ભૂપાળો અંગ પર ઊનનાં વસ્ત્રો પહેરે, સાહેબ લોકો શગડીએ તાપે : વાંદરા ડુંગરાની ગાળીમાં પેસી જાય : વૈશાખમાં તાપ ન સહાયાથી કેસર–ચંદનના લેપ કરેઃ જેઠ માસમાં ક્ષીણ થઈ ગયેલા ઘોડાને ઘી વેઠવું (પાવુ) પડેઃ અને એ દિવસો રાય રંક સર્વને કઠિન થઈ પડેઃ
જગ જેઠરા દન કઠણ જાણાં, રાવ રાણા રાજીએ.
ઝીણાં પટકુળો પહેરાય, બાગો બનાવાય, હોજમાં નિર્મળ શીતળ નીર ભરાયઃ પાણી વિના સર્પોને પવન ભક્ષી જીવવું પડેઃ એવા એવા ઋતુપ્રભાવ વર્ણવાયા છે.
૪. આસોમાં છીપની અંદર મોતી બંધાયઃ શરદપૂર્ણિમાનો ચંદ્ર સૌથી વધુ ઉજળો બને : માગશરમાં સૂર્ય દક્ષિણ દિશા તજી ઉત્તર તરફ ઢળે : પોષમાં પવન દિશા પલટે ને પાણી થીજી જાય,