આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઋતુના રંગ : ૯ :


ભાવનગર.

તા. ૧૮ - ૩ - ૩૬

વહાલાં બાળકો !

તમે મારા અઠવાડિક પત્રની રાહ જોતાં જ હશો. આ વખતે એક દિવસ મોડું થાય છે તો માફ કરશો.

હું ધારતો હતો કે હુતાશની તાપીને ટાઢ જશે, પણ હજી તો એ ઊભી છે. એ તો જરાક ચાલે છે ને પાછી વળે છે; આખરે એ બેચાર વાર પૂછડાં પછાડશે ત્યારે જશે. હમણાં સવારે તો ૭૦ સુધી ગરમી જાય છે, બપોરે ૯૦ ની ઉપર જાય છે, મતલબ કે સવારમાં શિયાળાની અસર, બપોરે ખરો ઉનાળો અને સાંજે નહિ શિયાળો કે નહિ ઉનાળો, એવું છે. એકંદરે આ સમય મિશ્રઋતુનો કહેવાય.

જુઓ ને, તેથી હું સવારે ગરમ બંડી પહેરીને ફરું છું, ને બપોરે પહેરણ પણ કાઢી નાખવાનું મન થાય છે; અને પાછું અડધી રાતે ગોદડું ઓઢવું પડે છે. આ ઋતુમાં જ મચ્છરો પોતાનું સંગીત સારી રીતે ચલાવે છે. બહુ ઠંડી લાગે ત્યારે અને બહુ ગરમી લાગે ત્યારે મચ્છરો સંતાઈ જાય છે કે ઠરી જાય છે કે બળી જાય છે. આવી સંધિઋતુમાં જ રોગો પણ બહુ થાય છે. હમણાં કફના, શીતળાના, ને ઓરીના રોગના વાયુ બહુ છે. થોડા વખત પહેલાં ઢોરમાં શીતળાનો રોગ ફાટી નીકળ્યો હતો; ગામડાંનાં ઘણાં ઢોરો મરી ગયાં.

પાનખર-વસંતની પણ આ સંધિ છે. તમે ચારેકોર નજર નાખીને ચાલશો તો જોવાનું ઘણું મળશે. જુઓ જોઈએ, ગુલમહોરનું ઝાડ કેવું છે ? છે એના ઉપર એકે ય પાંદડું ? વિલાયતમાં બરફ પડે છે તે વખતે પાંદડાં વિનાનાં ઝાડ થઈ જાય છે, એવું જ છે ના ? ખરેખરી પાનખર એના શરીર પર દેખાય છે. એ ઝાડ વિલાયતી જેવું લાગે છે. આપણાં દેશી ઝાડોમાં સાવ આમ નથી થતું. દેશી ઝાડોમાં ઘણાં ખરાં ઝાડો એક બાજુ પાંદડાં પાડતાં જાય છે, ને બીજી બાજુ નવાં કાઢતાં જાય છે. જુઓ ને, પાંદડાં વિનાનાં ગુલમહોર કેવાં વરવાં લાગે છે ! પણ જ્યારે એ પાંદડે આવશે ત્યારે ? ત્યારે લેલૂર અને ઘેઘૂર થશે. તે દિવસે યાદ પણ નહિ આવે કે ગુલમહોર એક વાર આવું હતું !