આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાહિત્ય પરિષદ:
તેની સિદ્ધિઓ ને શક્યતાઓ

સાહિત્યને ઓવારેથી જોનારને સાહિત્યજળમાં સ્નાન કરનારાઓ જ દેખાય છે તેમ નથી; એ ઓવારેથી તો જડ અને ચેતન, સર્વ મૂર્ત પદાર્થો પણ દૃશ્યમાન થાય જ. ઓવારેથી ઊભા રહી દ્રષ્ટિ નાખનારને તો પોતાના ઓવારા ઉપરથી સામી પારના ઓવારા ઉપર આવેલાં અનેક દહેરાં ને દહેરીઓ પણ નજરે પડે છે. આમ પોતાને ઓવારેથી નિરખનાર આ લેખકને સામી પાર આવેલું એક વિશાળ અને મનોહર મંદિર વર્ષોથી દેખાયા જ કરે છે, અને વર્ષો સુધી તેને તેણે બહાર અને અંદરથી નિહાળ્યા કર્યું છે. સાહિત્યપરિષદના એ શાંત અને સુશોભિત મંદિરને સૂક્ષ્મ રીતે અવલોકીને, તે પોતાના સંસ્કાર અને સંસ્મરણોને તાજાં કરે છે, અને અવલોકન તથા મનોરથ સ્પષ્ટ કરે છે. ટૂંકમાં, એ મંદિરનો મહિમા વ્યક્ત કરવાને તથા તેનાં યથાયોગ્ય મૂલ્ય આંકવાને આજે તે શબ્દોનું શરણ શોધે છે.

સાહિત્યપરિષદના આ ભવ્ય મંદિરની સ્થાપના થયે પા સદી તો ક્યારની યે વહી ગઈ છે. મંદિરની અંદર મનશ્ચક્ષુને જ મૂર્ત થતી પરિષદની એક પ્રતિમા ત્યાં પધરાવવામાં આવી છે. સાહિત્યજળમાં સ્નાન કરીને શુદ્ધ થયેલાઓને જ ત્યાં પ્રવેશવાનો અધિકાર છે. ‘સ્વર્ગકામ પુરુષે યજ્ઞ કરવો’ એવું મીમાંસાશાસ્ત્રનું વિધિવાક્ય છે; તેમ સાહિત્યના સ્વર્ગવાંછુઓ સાહિત્યપરિષદની દેવીને ભક્તિયજ્ઞથી પ્રસન્ન કરવી જોઈએ, એ પણ આજનું ન ઉલ્લંઘી શકાય તેવું શાસન મનાય છે.