આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વર્તમાન ગુજરાતને કવિ નર્મદનો વારસો

“હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં દમથી;
વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી.”

×××

“કુદરત વાડી સારી ઘણી, તન ગાડી બે ઘોડા તણી;
કવિતા લાડી નર્મદરાજ, ખરી મોજ તે કરતો આજ.
કોઈ હોયે હાલે મસ્ત, કોઈ હોયે મા’લે મસ્ત.
કોઈ હોયે ઈશ્કે મસ્ત, સુખીયો નર્મદ ખ્યાલે મસ્ત.”

કુદરતનીયે માનીતી હોય તેવી આ સોરઠની ભૂમિ એટલે વીરતાભર્યો ઇતિહાસ અને પ્રેરણવંતુ સાહિત્ય. ઘૂઘવતાં મોજાંવાળા મહેરામણને બાજુએ મૂકીએ તો કહેવું પડે કે વનસ્પતિ–સોહામણા ગિરનારે અનેક વીરોને ઇતિહાસને પાને મહિમાવંતા કર્યા છે. એટલું જ નહિ, પણ હરિષેણ, માઘ, ગજેન્દ્ર બુચ અને કવિ નાનાલાલ જેવાને પ્રેરણાદાન દીધાં છે. ગિરનારની ગોદમાં નરસિંહ મહેતાથી પુનિત બનેલું જૂનાગઢ એક વખત સાહિત્યનું મુખ્ય ધામ હતું. અહિંથી ત્યારે કાવ્યપ્રવાહો નિકળતા અને સમૃદ્ધ વિદ્વતા વહેતી. નર્મદ શતાબ્દીના આ પ્રસંગે જૂનાગઢ સાહિત્યક્ષેત્રમાં કાંઈ પ્રથમ પગલાંજ નથી પાડતું. જૂનાગઢનો સાહિત્યકાળ તેને ગૌરવભર્યો વખાણને પાત્ર બનાવે તેવો છે, એમ ગુર્જર સાહિત્યનો ઇતિહાસ આજે ય સાખ પૂરે છે. પણ આજે તે આપણો વિષય નથી; અન્ય કોઈ પ્રસંગે સોરઠનું આ પાટનગર પોતાનાં સાહિત્ય મૂલ્ય આંકે એમ તેની સાહિત્યરસિક જનતા જરૂર ઇચ્છે.

આજે તો આપણે નર્મદશતાબ્દી ઉત્સવના પ્રસંગે આ મહાપુરુષનાં યથોચિત યશગાન ગાવા એકઠા થયા છીએ, ત્યારે