આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
સાહિત્યને ઓવારેથી
 


આ સંક્રાન્તિકાળે નવયુગની ઉષા ફૂટતી હતી ત્યારે ગુજરાતે જે મહાન્ પુરુષોને જન્મ આપ્યો છે, તેમની જાહેર સેવાઓએ ગુજરાતના સર્વદેશીય ઘડતરમાં કીમતી ફાળો આપ્યો છે. કવિ દલપતરામ, ભોળાનાથ સારાભાઈ, વ્રજલાલ શાસ્ત્રી, મહીપતરામ રૂપરામ, દાદાભાઈ નવરોજજી, સ્વામી દયાનંદ અને કવિ નર્મદાશંકરઃ ઇ. સ. ૧૮૨૦ થી ’૩૩ સુધીનાં તેર વર્ષના ગાળામાં જન્મેલા આ સપ્તકે ભવિષ્યમાં ધર્મ, સમાજ, સાહિત્ય અને રાજકારણની ચારે દિશા ઉજાળી. ઉંઘતી, સત્વહીન અને આત્મભાન ભૂલેલી પ્રજાને વિવિધ પ્રકારે તેની મોહનિદ્રામાંથી તેણે જગાડી, અને ગુજરાતને ગૌરવવંતું કીધું. ત્યારે ગામડાંમાં ગામઠી નિશાળોએ જૂજ કેળવણી મળતી, ને પાઠશાળાઓમાં પૂરાયેલી સંસ્કૃત ભાષા તો બ્રાહ્મણોનો જ ઈજારો મનાતી. આર્ય-સંસ્કૃતિ તે વખતે ઇસ્લામ ને ઉર્દુથી થોડી રંગાયેલી હતી; પણ પાશ્ચાત્ય ધર્મ કે ઈંગ્રેજીથી તો નિર્લિપ્ત જ. ત્યારે ખેડુતનો છોકરો ગામઠી નિશાળે માંડમાંડ લખતાં વાંચતાં શિખતો ને બોડા અક્ષરની સહી કરી જાણતો; તથા વણિકપુત્ર નામુંઠામું શિખી દુકાને વળગતો. તે પછી રજપૂત, ધારાળા ને અન્ય પછાત કોમોની કેળવણી કે અક્ષર જ્ઞાનનું તો પૂછવું જ શું? ઇંગ્રેજી વિદ્યા તો ત્યારે માત્ર કલ્પનાનોજ વિષય હતી. નર્મદ પોતે મુંબઈમાં જ ઉછર્યો અને કળવાયો હતો; પણ મુંબઈ કાંઈ સમગ્ર ગુજરાત ન્હોતું. આગગાડી, તાર, મિલો, સરકારી નિશાળો, કોલેજો, યુનિવર્સિટી, છાપાં, માસિકો, લોકસંસ્થાઓ, મ્યુનિસીપાલીટીઓ, ધારાસભાઓ ને પુસ્તકાલયો આ બધાં હજુ ગુજરાતમાં આવવાનાં હતાં.

અને નર્મદ એટલે કોણ? ભગીરથ પ્રયત્ન, અણનમ ટેક અને અખૂટ ઉત્સાહના સંગ્રહસ્થાન સમો નવજુવાન નર્મદ