આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
સાહિત્યને ઓવારેથી
 


અને કવિમાં કેટકેટલી ગુણપૂજા છે ! નરસિંહ મહેતા, મીરાં, પ્રેમાનંદ, નર્મદાશંકર, નવલરામ, દલપતરામ, ગોવર્ધનરામની અને શિવાજી જેવા ભારત–વીરોની જયંતીઓમાં તેમણે કેટકેટલી આદરભરી ગુણસ્તુતિઓ ગાઈ છે ? ‘જાય છે તેની જગા નથી પૂરાતી’ એમ માનનાર આ સહૃદય ગુણદૃષ્ટાએ કેટલાયની જયંતીઓને સાહિત્યક્ષેત્રમાં અમર બનાવી છે.

એવા આ કવિમાં સ્ત્રીજાતિ માટેનાં અનહદ માન છે, પ્રકૃતિદેવીનાં વિવિધ દર્શન છે, સંન્યાસીના ત્યાગ છે, સ્નેહીના રસભંડાર છે, તે ભક્તની મસ્ત ભક્તિ છે. વર્લ્ડ કવિ એ રાષ્ટ્રપ્રેમી ને દેશાભિમાની કવિ છે. ‘ધન્ય હો ધન્ય જ પુણ્યપ્રદેશ,’ ‘ગિરનાર’ અને તેમનાં રાષ્ટ્રભક્તિનાં અન્ય કાવ્યો આપણને તેમના આ વિશિષ્ટ લક્ષણની ખાત્રી કરાવે છે. વિશેષ માટે ‘જહાંગીર–નૂરજહાં’ કે ‘અકબરશાહ’ માં કરેલાં ગરવી ગુજરાતનાં વર્ણનોમાં કવિકલમ કેવી થનગને છે તે જુઓ એટલે આપોઆપ આ બધું સમજાશે.

અને તે ઉપરાંત કવિનાં વિવેચનો અને પ્રાસંગિક ભાષણો અવલોકો. તેમની ઐતિહાસિક, તુલનાત્મક પદ્ધતિ રસપ્રદ યુગચિત્ર રજુ કરે છે; ને તેમણે જયંતીઓનાં ભાષણોમાં આપેલા સાલવારીના આંકડા આપોઆપ જ કાળદર્શન કરાવે છે. પણ ત્હો’યે આ સાથે જણાવવું પડે કે કવિદૃષ્ટિમાં અતિશયોક્તિના આંક બહુ તેજ હાઈ કવિનું કવિત્વ તેમની વિવેચનશક્તિને આવરી લે છે, ઉધાર બાજુને ઉવેખી જમે બાજુને હદપાર નમતી બતાવે છે, ને તેથી કવિ તે વિવેચક મટી માત્ર ગુણપૂજક જ બને છે.