આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કનૈયાલાલ મુનશી
૩૭
 


ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’ને વાચકના મનશ્ચક્ષુ આગળથી જરા પાછળ પાડી દીધો છે.

કહે છે કે મહાઅમાત્ય મુંજાલની જેમ મહત્ત્વાકાંક્ષી અને સર્વલક્ષી થવા પ્રયત્ન કરનાર મુનશીએ અનેક ક્ષેત્રોમાં ઘૂમી સાહિત્યને અન્યાય કર્યો; પણ તેમ કહેનારે મુનશીનો દોષ કાઢતા પહેલાં મુનશીહૃદયને વધારે પારખવું રહ્યું. શ્રી. મુનશી એટલે ગુજરાતની અર્થસાધક, વિજયવંતી અને અનેકગણી મુશ્કેલીઓને પણ તરી પાર ઊતરનાર કુશાગ્ર બુદ્ધિ. અને તેમની બુદ્ધિનું આ વિશિષ્ટ લક્ષણ તેઓ જ્યારે યુનિવર્સિટીના ‘રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ’ તરફથી ધારાસભાના સભ્યપણ માટે થનાર ચુંટણીમાં પહેલવહેલા ઉમેદવાર તરીકે ઊભા રહ્યા ત્યારે જણાઈ આવ્યું. અને તેવું જ કૈંક યુનિવર્સિટીની કાર્યવાહીમાં, ને સાહિત્ય પરિષદનાં બંધારણોમાં પણ; કારણ કે મુનશીની નજર સાધ્ય તરફ જ હોય છે, પછી ભલે સાધન ગમે તેવું હોય. એકાગ્રતાને શુષ્ક અને સારહીન માનતા હોય તેમ તેમનું મન નવીનતાથી આકર્ષાય છે. પ્રાપ્ત થયેલાં કુસુમને આકામ ચૂસી લેઈ દૂરના અણદીઠ પ્રદેશનાં અભિનવ કુસુમો તરફ વિવિધતાના આશક બની ઊડી જનાર ભ્રમરની તેમનામાં ઉત્સુકતા અને અસ્થિરતા છે. જુદાં જુદાં ક્ષેત્રોમાં વિચરતા મુનશી જ્યાં જાય ત્યાં નવી ભાત પાડે અને આગળ તરી આવે. હાઇકોર્ટમાં, ધારાસભામાં, યુનિવર્સિટીમાં, બારડોલી સત્યાગ્રહમાં અને બીજા કેટલાંયે કમિશન અને કમિટિઓમાં ગમે તે સાધનનો ઉપયોગ કરી તેમણે ક્યારે આગળ પડતો ભાગ નથી લીધો ? કારણ કે, અગાઉ કહ્યું તેમ સાધનની શુદ્ધાશુદ્ધતા વિષે તેઓ બહુ ચિંતા નથી ધરાવતા.

મુનશી એટલે વિચક્ષણ જાદુગર; વખત જોઈને સફળ