આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દી. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા

રારાજ્યતંત્ર, તત્ત્વજ્ઞાન અને સાહિત્યને જિંદગીભર સાથે જ સેવતા દી. બ. નર્મદાશંકરભાઈ સંસ્કૃત વિદ્વત્તાના વિરલ ગુર્જર ઉપાસકોમાં વિશિષ્ટ સ્થાન ભોગવે છે. મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતે દાખવેલી સંસ્કૃત વિદ્યા તરફની ઉદાસીનતા સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓને તો વિષાદ ઉપજાવે તેવી જ છે. પૂનાના ‘ડૉ. ભાંડારકર પૌર્વાત્ય સંશોધનમંડળ’ ની માફક સંસ્કૃત વિદ્વત્તાને વેગવંતી કરવાના પદ્ધતિસરના પ્રયત્નો તો હજુ ગુજરાતમાં થાય ત્યારે ખરા, પણ આજે ગુજરાતના જે વિદ્યમાન સંસ્કૃત વિદ્વાનો કોઇ આવી કેન્દ્રીભૂત સંસ્થાના સંગીન સહકાર વિના પણ પોતાની વિદ્વત્તાના બળે પરપ્રાન્તમાં ને વિદેશોમાં યે કીર્તિપાત્ર બને તેમ છે, તેઓમાં નર્મદાશંકરભાઈનું નામ તો અવશ્ય ગણાવવું જ પડે; કારણ કે પૂર્વ ને પશ્ચિમના તત્ત્વજ્ઞાનના વિષયમાં તેમની વિદ્વત્તાના તેજે આજે ઘણાને આંજી દીધા છે.

ગંભીર મુખ પાછળ ડોકિયાં કરતી તેમની વિનોદવૃત્તિ તેમના તત્ત્વજ્ઞાન પાછળ છુપાયલી સાહિત્યરસિકતાની સાખ પૂરે છે. શ્રી. નર્મદાશંકરભાઈએ કર્તવ્ય કે મોભા ખાતર પ્રયત્ન વડે ભારેખમ દેખાવાની ટેવ પાડી જણાય છે; નહિ તો મને તો ખાત્રી છે કે બાલ્યાવસ્થામાં ને યૌવનમાં આજના જેટલા જ્યારે માનનીય ને મહાન નહિ હોય ત્યારે તેઓ વધુ વિનોદી ને ટીખળી હોવા જોઈએ. આજે પણ તેમમા અંતરંગ મંડળમાં તેમનો હાસ્યરસ તેટલોજ ઠાવકો ને આનંદપ્રદ છે.