આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભક્તિમાર્ગ : ૧૧૧
 

મોરચો કહી શકાય.

આમ મુસ્લિમોના હિંદપ્રવેશ સમયથી જ ભક્તિમાર્ગે આ સંસ્કૃતિની સાચવણી હાથમાં લીધેલી છે. એણે આર્યત્વને તો ઉજળું બનાવ્યું છે. સાથે સાથે તેણે ઈસ્લામને પણ હળવો, ઉદાર અને ઝનૂનરહિત બનાવવામાં બહુ ભવ્ય ભાગ ભજવ્યો છે. આખું મધ્યકાલીન સાહિત્ય ભક્તિસાહિત્ય છે એમ કહીએ તા ચાલી શકે.

એ ભક્તિમાર્ગે મહાન ભક્તો અને મહાન સાહિત્યકારો આપણને આપ્યા છે. પરપ્રાન્તીય સૂરદાસ અને અષ્ટસખા, તુલસીદાસ, કબીર, _માલ, રહીમ, રસખાન, તુકારામ, નામદેવ અને ગૌરાંગ જેવા મહાન સાહિત્યાચાર્યોને બાજુએ મૂકીએ તો પણ એ જ ભક્તિમાર્ગે ગુજરાતનું નવીન સાહિત્ય સજર્યું અને નરસિંહ, મીરાં, ભાલણ, અખો, પ્રેમાનંદ, ભાજો, ધીરો, રત્નો, નરભેરામ, દયારામ, દેવાનંદ, પ્રીતમ, ઋષિરાજ અને છોટમ સરખા અનેક સાહિત્યકારોને ઉપજાવી ગુજરાતની સાંસ્કારિક વિશિષ્ટતા સાચવી રાખી છે.

ઉપરાંત એ જ ભક્તિમાર્ગે—કપો કે ભક્તિભાવે—નર્મદ—દલપત પાસે તો ભક્તિગીતો લખાવ્યાં જ છે. એથી આગળ આવતાં ભોળાનાથ સારાભાઇ, નરસિંહરાવ દિવેટીઆ અને છેક આપણી જ નજીક આવી ગયેલા નાનાલાલ અને લલિત પાસે પણ સુંદર ભક્તિગીતો લખાવ્યાં છે. હજી આપણા છેલ્લામાં છેલ્લા કવિઓ પણ સરસ ભક્તિગીતો લખી રહ્યા છે.

આવી વ્યાપક સાહિત્ય અસર ઉપજવતો, ગૃહ તેમજ સમાજ જીવનને ઉજાળતો, ભક્તિમાર્ગ આજ પણ એકતારામાં, કીરતાલમાં, મંજીરામાં, ઝાંઝમાં અને ઢોલમાં સજીવન રહેલો ચારે પાસ આપણે જોઇ શકીશું.