દૌલતખાન નહિ બતાવી શકે એવો પૂરો વહેમ હતો. રચનાની મસલત પૂરી થયે વજીરે જામ પાસે જઈને પોતાનું પેટ ખોલ્યું. જામે જવાબ દીધો : “હું તો હરોલીનું બીડું સખીઆતવાળાઓને બક્ષી ચૂક્યો, હવે તમે જેમ કહો તેમ કરું.”
“ના, આપનું ફરમાન ફરી ન શકે. હવે તો અમે સમજી લેશું.”
એમ કહીને વજીરે ભાણજી દલને તેમ જ ડાયા લાડકને તેડાવી સમજાવ્યું : “જામના મોંમાંથી પડ્યો બોલ પાછો નહિ ગળાય; પણ તમે બેય જણ ફોજો લઈને મોહોરામાં રે’જો ને સખીઆતોનો પગ મોળો ભાળો તોપણ મક્કમ રે’જો.”
તે રાતે એ ત્રણેય બુઢ્ઢાઓ લોમાની ને દૌલતની ફોજો મોખરામાં ગોઠવાતી જોઈને આંગળીઓ કરડતા ઊભા. ઈલાજ નહોતો રહ્યો.
હરેક દળને એનું સ્થાન સુપરદ કરીને જેસો વજીર પોતાની રાવટી પર જતા હતા તે વખતે એક નાગડા બાવાએ એને ગુરુનો સંદેશો કહ્યો : “બે ઘડીનો જ મિલાપ માગું છું.”
વજીર જે વેળા ગામની બીજી બાજુ ગયા ત્યારે એણે મશાલોના તેજમાં એક હજાર નાગડાઓની પલટન રાંપૂર્ણ સજાવટ સાથે ઊભેલી દેખી. હાથીઓ ને ઘોડા સર્વ શિસ્તબદ્ધ ઊભા હતા. વજીરે કહ્યું : “આપ વિદાય લ્યો છો ને ? સારું થયું. મને એ જ બીક હતી, કે ક્યાંઈક રોકાણ કરી બેસશો ને અમારે માથે સાધુહત્યા ચડશે.”
“અમે વિદાય નથી લેતા. ધાર પર આવીએ છીએ. અમને અમારી જગ્યા દેખાડો.”
“શું બોલો છો ?”
“વજીર સાહેબ, આ ધરતી પ્યાસી છે. અમે બાવાઓ છીએ. પણ અમે લોટમગા નથી. અમે આંહીં મરશું, ધરતીનું કોપશમન કરશું.”
“આપ બે ઘડી ઊભા રહો.” એમ કહેતા વજીરે જામ પાસે ઘોડો દોટાવ્યો, વાત કરી.
“વાહ ! વાહ !” જામે કહ્યું : “આપણે પક્ષે જમાત લડશે ? તો તો