આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
10
સમચંગણ
 

 દાઢીમૂછના વાળમાં શ્વેતવરણી જૈફીએ ઘર નાખ્યું હતું. રાવળ જામની સાથે જેસા વજીર પણ કચ્છમાંથી આવ્યા હતા. નદીકાંઠે એણે પોતાની રૂપાળી પત્નીને અને કદરૂપા બાળક નાગડાને ઓળખ્યાં હતાં.

દસેય ઘોડેસવાર ગામની બજારમાં દાખલ થયા ત્યારે પાંચસોક પોઠિયાઓની ધકબક લાગી હતી. આઠ-દસ કદાવર જુવાનો એની પાછળ લાકડીઓ લઈને હાંકતા હતા. જુવાનોને ખંભે તલવારો ઝૂલતી હતી. ગામ-દરવાજાના દરવાનો એની સાથે કશીક રકઝક કરતા હતા. નવા આવનાર જુવાનો કહેતા હતા : “ના, ના, એ તો ગામનું જે નામ લેવાતું હશે એ જ લેવાશે.”

“નવું નામ શીખી લેવું પડશે.” દરવાનો રૂવાબ કરતા હતા.

“આવશે જે દિ’ શીખવનારા તે દિ’ શીખી લેશું. હજુ તો ગુરુ મળ્યા નથી.”

“શી તકરાર મચી છે ?” સતા જામે દરવાનને પૂછ્યું.

“આ પરગામના આવેતુઓ, બાપુ, આ ગામને હજુ નાગની નાગની કૂટ્યા કરે છે. અમે એને સમજાવીએ છીએ કે આ ગામનું નામ જામનગર છે, તો એ માનતા નથી.”

“કેમ, ભાઈ ?” સતો જામ પરદેશીઓ તરફ વળ્યા. “નામ કાંઈ અઘરું પડે છે ?”

“નામ તો, બાપુ જોરાવરીથી શીખાતાં નથી. ગામધણીની સુવાસ ફોરશે એટલે આફરડું નવું નામ જીભે ચડશે.”

“આ ગામનાં તોરણ કોણે બાંધ્યાં છે, જુવાનો ?”

“નાગ જેઠવે.”

“જેઠવાનો મુલક તો છેટો રહી ગયો, જુવાનો !”

“તો ય સુવાસ હજુ ફોરે છે.”

“હાલો ત્યારે, કોટવાળને કહો આ પરોણાઓને ડેલે લઈ જાય. ત્યાં એને નવું નામ શીખવશું.”

“અમે દરબારી પરોણાઓ જ છીએ.”