હતાં, ને ત્યાં રંગાટ થતી બાંધણીઓના ઢાકાશાહી મલમલના તાકા ફરકતા હતા. તેની ગોદમાં લપેટાતો દરિયાઈ પવન રંગોમાંથી નીકળતી ભાતભાતની સુગંધો સાથે મસ્તી ખેલતો હતો.
સંધ્યાની મશાલ પેટાઈ. કચેરીમાં સતા જામે સૌની સલામો લીધી. સલામ કરનારાઓ વીખરાયા. છેલ્લી રજા લેનાર જૈફ વજીર જેસાભાઈ હતા.
“કાલની રજા માગું છું, અન્નદાતા !” જેસા વજીરનો અવાજ ગંભીર હતો.
“કેમ ?”
“ગામતરે જવું છે.”
“ઢૂકડાં કે દૂર ?”
“ના, ઢૂકડાં જ જવું છે."
“ભલે, જઈ આવો. પણ હવે મને એક વાત ખટકે છે.”
“શું, અન્નદાતા?”
“હજી ય લોકો નાગની નાગની કહ્યા કરે છે.”
“અન્નદાતા ! જમીન જીત્યે કાંઈ માટી થઈ જવાય છે ?”
“ત્યારે ?"
“દિલ જીતવાં જ બાકી રહે છે. એ જીતો એટલે નગરનું નામ આપોઆપ બદલાશે.”
“આંહીંની વસ્તી માથાભારી છે.”
“નમાલી બાયડીને માથે શૂરાતન કરનાર ધણી બનવું રાવળ જામના પોતરાને ન ગમવું જોઈએ, અન્નદાતા. ને આપણા હાથે હજી લોહીના ડાઘ છે.”
સતા જામનો ચહેરો ચીડિયો બન્યો. તેની પરવા રાખ્યા વગર જ જેસા વજીરે યાદ આપ્યું: “દાદાએ આશાપરા દેવીના સોગંદ લઈને પછી ગોત્રહત્યા કરી છે. પિત્રાઈ હમીરજીને ગોઠ્ય પર તેડાવી કસુંબાની અંજળિ ભરાવતે-ભરાવતે કાપી નાખ્યા છે. નાગ જેઠવો પણ દાદા રાવળ