આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
78
સમરાંગણ
 



13
સોહાગની રાત

નાગમતી નદીનાં માછલાંને પણ કોણ જાણે ક્યાંથી યે સાન થઈ ચૂકી હતી કે મહિનાના અમુક દિવસે તો ચોક્કસ આ છીપર ફરતા અમુક સુગંધ અને સ્વાદવાળા મેલ ઊતરશે. માછલાંને સાંભળવાની શક્તિ હોય છે એમ જાણકારો કહે છે. મહિનાના ચોક્કસ ચાર દિવસે આ છીપર ઉપર અમુક ચોક્કસ કંઠનો અવાજ, ચોક્કસ ચૂડીઓનો ખણખણાટ, અને ચોક્કસ પ્રકારના છબછબાટ થવા જ જોઈએ, થયા વગર રહે જ નહિ ! સત્તર વર્ષોથી તો વણચૂક્યા એ થાય જ છે. એક પણ દિવસ પડ્યો નથી. માછલાંને અક્કલવિહોણાં માનનારાઓને પણ માછલાંની આવી સંજ્ઞાનો સ્વીકાર કરવો પડે એવો એ તાલ હતો.

માછલાંઓએ મુકરર માનેલા બપોર ટાણે જ એ ધોનારીના ધીરા પગ નીચે નદીકાંઠાની લીલવણી ધ્રો ચંપાણી. માછલાં સાચાં પડ્યાં. પસીનાની જે ચોક્કસ ગંધ માટે તેમની રાહ હતી તે પૂરી થઈ. ધોનારીની દેહ-ગંધ બદલી નહોતી.

બદલ્યું હતું ફક્ત કાયાનું શિલ્પકામ. સત્તર વર્ષ પૂર્વે પાંત્રીસ વર્ષની પ્રૌઢા આજે આવરદાના વનમાં આથડતી હતી. બરડા ઉપર ઊડતા છાંટા નિશાળનાં છોકરાંની જેમ બરડાના પાટિયા પરથી લસરી નહોતાં શકતાં, પણ કરચલીઓની વચ્ચે રોકાઈ જતાં હતાં. કાપડાની કસોના એ બરડી પર પડતા કાપ ઝાંખા દેખાતા હતા, તેમ જ તેનો રંગ પણ ગુલાબી મટીને ગૂઢો બન્યો હતો. કેમ કે વૃદ્ધા હવે ખૂલતા રંગની અતલસોનાં કપડાં પહેરતી નહોતી. છીપર ઉપર એના હાથ ધીમીધીમી ચાલ્યે કપડાં ચોળતા હતા. એના કંઠમાં કિલકિલાટ ભરી વાતો નહોતી રહી. એની સાથી સ્ત્રી પણ આધેડ વયને ઉંબરે હતી.

“જોયું ને મા, ગામથી આંહીં સુધી આવતાં કેટલાં સળગી ગયાં તડકામાં ને તડકામાં ?”