આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
82
સમરાંગણ
 

 હતાં ને ?”

વૃદ્ધાનાં કાંડાં કપડાં ચોળતાં ચોળતાં એકદમ અટકી પડ્યાં. એણે. એ વાતમાં એકાએક તીવ્ર કૌતુક દર્શાવ્યું, એ દેખીને દાસી પણ મલકાઈ ગઈ. એણે કહ્યું : “ના, ઇ તો કાંઈ નહિ. ગામગપાટા.” એટલું બોલીને દાસી વૃદ્ધાને ચીડવવા લાગી.

“વાત પૂરી તો કર.”

“ના, ઇ તો કાંઈ નૈ, ઇ તો મારે લવલવ કરવાની ટેવ છે તે હું અમથીઅમથી લવલવતી’તી.”

“એમ કર મા, મારી દીકરી ! એમ મને ટગવ મા. વાત કર જોઉં.”

“કહેતાં’તાં ને કે નથી સાંભળવી ?”

“માફ કર. ભૂલ થઈ.”

“તો સાંભળો. હવે ઈ ત્રણેયમાં એક છે જુવાન છોકરી. ઈ છે રાંડ કોક ડેણડાકણ, કોક જોગણી કે કાં કોક જાદુગરી. એને તરવારુંમાં કાંક દેખાય છે દેખાય છે એમ ઢોંગ કર્યા. જામ બાપુની તરવાર જોઈને એણે શું કહ્યું ? કહ્યું કે આ તરવારનો ધણી તો આંહીં એક મોટું રણથળ મચવાનું છે, એમાંથી પારોઠ (પીઠ) બતાવીને ભાગી નીકળશે. કુંવર અજા જામની તરવાર જોયા વિના, બીજા સૌની તરવારુંનાં પાનાં ઉકેલીને કહે કે કુંવર રણથળમાં રૂડા દેખાશે. આ બધું ચેટક જામ બાપુને તો ભારે પડી ગયું છે. એને દિવસ ને રાત વહેમ પેઠો છે કે આ છોકરી મંગલા બાદશાની જાસૂસ હોય તો ના નહિ. આવી લાગે છે. અમારી બાપ-બેટાની વચ્ચે ભેદ ઊભો કરવા. ને કાં આ છોકરી કોઈક મુસલમાન પીર ઓલિયા કે જનની સાધેલી હોવી જોવે.”

“અક્કલ ! કાંઈ અક્કલ !” વજીરાણીએ જામ સતાજીની બુદ્ધિ વિષેનો પોતાનો નિત્યનો મૂંગો અભિપ્રાય આ વખતે નિશ્વાસ સાથે વ્યક્ત કર્યો.

“પછી બાપુએ તો પંડિતોને ને શાસ્તર જાણવાવાળાઓને બોલાવ્યા. ભૂવાઓને ને ભૂતની સાધના કરવાવાળાઓને તેડાવ્યા. સૌનો