આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭


ઓ વીરા ! સારથિ શું કરશે ?
ધર્મમર્મ ગીતા ઉચ્ચરશે ?
અર્જુન રણ ટંકારે ભરશે
તોજ વિજય પામે રણધીર :
છિન્નભિન્ન અરિદળબળ પળશે,
જુગજુગનાં અંધારાં ટળશે,
સત્ય ધજા ઉડતી ઝળહળશે,
સ્નેહે જગ છાશે નરવીર !


એ નવજીવન જીવવા આવો,
ગુર્જરવીર ! ગુર્જરવીર !
એ નવચેતન આત્મ ઝગાવો,
ગુર્જરવીર ! ગુર્જરવીર !
એ નવજીવન જીવવા આવો,
એ નવચેતન આત્મ ઝગાવો,
ગુર્જર શૌર્ય જગે અંકાવો
જય જય હાવે ગુર્જરવીર !