પ્રિયં૦— કેઈ વારૂ ?
અન૦— યજ્ઞકર્મ પૂરું થયે રાજર્ષિને ઋષિઓએ વળાવ્યો પણ હવે તે પોતાને નગરે જઈ અંતઃપુરનો સમાગમ કરતો થશે ત્યારે અહીંનું વૃત્તાંત તેને સાંભરશે કે નહિ ?
પ્રિયં૦— નિરાંતે રહેજે કેમકે એવા આકૃતિવિશેષપુરૂષ ગુણવિરૂદ્ધ આચરણ કરતા નથી;. પણ અલી મને તે આ ચિંતા થાયછે કે તાત તીર્થયાત્રા કરી આવ્યા છે તે શું કહેશે ?
અન૦ — મને તો લાગે છે કે અનુમોદન આપશેજ.
પ્રિયં૦— પૂજાના કામને જોઈએ તેટલાં તો ફૂલ ચૂંટાયાં.
અન૦— વારૂ, આપણે શકુંતલાની સૌભાગ્યદેવતાને બે ફૂલ ચઢાવી લેઈયે. (તેમ કરે છે.)
(પડદામાં ) આ હું હો!
અન૦— અલી ! અતિથિના જેવો શબ્દ સંભળાય છે.
પ્રિયં૦— કૂટીમાં શકુંતલા છેજ.
અન૦— હા, પણ આજ તેના ચિત્તનું ઠેકાણું ક્યાં છે ? બહુ ફૂલ છે, ચાલ હવે.
(પડદામાં ) અનર્થ ! અતિથિનો અનાદર કરનારી ?
વિચિંતેછ જેને અનન્યે મને તૂં,
ન જાણે તપસ્વી ઉભો આંગણે હૂં;
ન સંભારશે તે દિધે બોધ સદ્ય,
કહ્યું પૂર્વનું જેમ પીધેલ મદ્ય. ૬૦
સખીઓ— (સાંભળી ખિન્ન થાય છે.)
પ્રિયં૦— ધિક્ ધિક્, ખરે માઠું થયું, શૂન્યહૃદયશકુંતલાથી કોઈ પૂજ્યનો અનાદર થયો -(આગળ ચાલી જઈ) કોઈ જેવા તેવાનો નહિ પણ તત્કાળ ક્રોધ કરે તેવા દુર્વાસા મહર્ષિનો ! શાપ દેઈ ચાલતા થયા.
અન૦— જા, વહેલી પગેપડી એને પાછા આણ. હું અર્ધ્યોદક કરી રાખું છું.
પ્રિયં૦— (જાય છે.)
અન૦— અરે, ઉતાવળે ચાલતાં તો હાથમાંથી આ ફૂલની છાબ પડી ગઈ!
પ્રિયં૦— (પાછી આવી) અલી ! પ્રકૃતિયેજ આડા તે વળી કોઈની પ્રાર્થના સાંભળે ? પણ પછી કાંઈક દયા કીધી.