આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩


“રાંડ, ખાલ - ખેંચી નાંખીશ – જો એવું એવું બોલી તો ” કહી ખભાવતે કૃષ્ણકલિકાને ધકકો માર્યો અને અલકકિશેરી વાતોમાં લીન થઈ !

એટલામાં બારણે શોરબકોર થયો. સઉ બારી ભણી દેાડ્યાં અને જુવે છે તો ખલકનંદા બાવરી બનેલી રસ્તામાં દોડે છે અને લોકો કાંકરાં નાંખતા ગાળો દેતા તેની પાછળ પડેલા દીઠા. શઠરાયનું ઘર જપ્ત થયું તે વખત તે સુતી હતી ત્યાંથી તેને હાંકી ક્‌હાડી. સ્ત્રીવર્ગને અડકવું નહીં એવો અમાત્યનો હુકમ હોવાથી તેને ઘરમાંથી ક્‌હાડી મુકવા ઉપરાંત કાંઈ થયું નહી. ધણીને ઘેર તેનો સ્વીકાર ન થયો અને એની ખરાબ વર્તણુંક જાણનારાઓ પ્રસંગનો લાભ લઈ તેની પાછળ પડ્યા, શઠરાયની અપકીર્તિના રસીયા લોક ચારેપાસ ભરાયાં, તાળીયો પાડવા લાગ્યા, અને 'હો, હો,' કરતા ઉભરાયા. પડતા દુષ્ટ કુટુંબની કોઈને દયા ન આવી. ખલકનંદાને કોઈ પાસનો આશ્રય ન દેખાયો, ભાભીની સાથે ગઈ હત તો ઠીક થાત એમ લાગ્યું, ભયપાશમાં હવે કાંઈ માગે ન સુજ્ગ્યો; અને છાશબાકળા થયેલી, ગાળો અને કાંકરાના વર્ષાદ વચ્ચે આમ તેમ દોડતી ઠોકરો ખાતી પડી જતી ઉઠતી અને રોતી, ફાવ્યું તે રસ્તે જવા લાગી. અામ લોકને દેખે એટલે આમ જાય અને આમ દેખે એટલે અામ જાય. એમ કરતાં કરતાં બુદ્ધિધનનું ઘર આવ્યું. એની આ અવસ્થા જોઈ બારીમાં ઉભેલી કિશોરી બોલી ઉઠી: “ દેવી, દેવી, જો રાંડને જમાલે કામમાં ન આવ્યો ને મ્હાવોયે ને આવ્યો.- હત, રાંડ, લેતી જા – રાંડ, ડાકણ, શંખણી–.” દેવીયે આંખ ક્‌હાડી અને પુત્રીને વારી નીચે ઉતરી ઓટલા ઉપર આવી. સઉ એની પાછળ અાવ્યાં અને બારણું રોકી ઉભાં.

આ સઉને જોઈ ખલકનંદા વધારે ગભરાઈ અને હારી. શીકારી કુતરાઓ પેઠે લોકો ટોળાબંધ તેની પાછળ લાગ્યા હતા તે ચ્હડતી અવસ્થામાં આવેલી પવિત્ર અમાત્ય પત્નીને આનંદની પરિસીમાપર અાણવા ઉશ્કેરાશે એ વિચાર એકદમ દુષ્ટાના મનમાં આવ્યો. જમાલની બાબત ઉન્મત્ત અલકકિશોરી વેર લીધા વિના ર્‌હેશે નહી અને એ વેર લેવાનો પ્રસંગ આ અચિન્ત્યો પાસે આવ્યો જાણી શઠરાયની દીકરી ઉંડા અંતર્માંથી બળવા લાગી. ભયની જગાડેલી કલ્પનાએ દૂર ગયેલો ભૂતકાળ પાસે ખડો કર્યો અને બુદ્ધિધનની માતુશ્રીને કરેલું અપમાન – એ અનાથ વિધવા દ્વારા સૌભાગ્યદેવીને પોતાને પહોંચાડેલું અસહ્ય અપમાન – એ અને બીજી કાંઈ કાંઈ જુની ભુલી જવાયેલી વાતો મગજમાં એકદમ ઉભરાઈ આવી - અરે, ક્‌હોઈ ગયેલા શબમાં અસંખ્ય જીવડા તરવરે તેમ તરવર તરવર થવા લાગી. બુદ્ધિધનનું ઘર મુકી બીજે રસ્તે નીકળી પડવાં તેણે