આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧

શાળી માનતો દેવીને ઘડીવાર ચામર ઢોળતો હતો, ઘડીક તેનો છડીદાર થતો હતો, અને ઘડીકમાં મન્દિરના દ્વાર આગળ કલબલાટ મચાવી મુકી પચાશેક રાજબાઓ આવી ઉભી રહેતી તેને આઘેથી ક્‌હાડી મુકતો હતો. “ઉભો ર્‌હેજે, શઠ !” કરી તેને હસવામાં મન્દ પ્રહારે ધોલ મારતી હોય તેમ દેવીનો કોમળ હાથ ઉંઘમાં બુદ્ધિધનના લમણા ઉપર રહ્યો હતો અને તેના રમણીય બિંબાધર નિદ્રામાં મલકતા હતા.

બીજે દિવસે બુદ્ધિધન રીતસર કામકાજમાં ગુંથાયો. પણ સંધ્યાકાળ પડી અને ભૂપસિંહને ઘેર જવાનો સમય થયો એટલે રાજબા સાંભરી, મન ઉત્સુક થયું, પ્રથમ દિવસનો ઠરાવ ભુલી ગયો અને કપડાં પહેરી બહાર જવાનો વિચાર કરે છે એટલામાં સૌભાગ્યદેવી કાંઈક પુછવા આવી. તેને જોતાં જ પવિત્ર વિચાર પાછા ઉત્પન્ન થયા અને આટલા સરખા બનાવથી એનું પત્નીવ્રત સદાકાળ અમર રહેવા બચ્યું ! 'હટ ! હું કાંઈ નથી જતો રાજબાને ઘેર !' કરી તે બીજે રસ્તે બીજે કામે ગયો અને તે સમયથી એ વિચાર–રાહુ એના મન આગળ કદી પોતાની મેળે પાછો આવ્યો નહી. પરંતુ રાજબા સ્ત્રીબુદ્ધિવાળી હતી. તેનું મન અાગ્રાહી હતું અને તેમાં પકડાયેલી વાત ત્યાંથી ખસતી ન હતી. રજપુતાણીમાં હીમ્મત પણ જબરી હતી. વચન આપવા છતાં બુદ્ધિધન અાવ્યો નહી. આજ રોકાઈ ગયો હશે – કાલે આવશે. કાલ થઈ ન અાવ્યો. પરમ દિવસ થયો અને ન આવ્યો: એમ સાત આઠ દિવસ થયા. અંતે એક દિવસે ભૂપસિંહ ઘરમાંથી રમાબાઈને ઘેર ચાલ્યો એટલે રાજબા પણ તેની પાછળ જોતી જોતી ઈર્ષ્યા ભરી જવા વિચાર કરી વિહ્‌વળ બની ઉઠી પુરુષનો વેશ લીધો. કેડે હથીઆર બાંધી લીધાં અને બુદ્ધિધનના ઘર આગળ રાતના આઠ વાગે આવી ઉભી અને સંદેશો ક્‌હાવ્યો કે “ભૂપસિંહના દોસ્ત રાજસિંહ તમને મળવા અાવ્યા છે – કાંઈ એકાંત કરવાની છે.” બુદ્ધિધન અા નવીન નામ સાંભળી ચમક્યો - ઉભો થયો અને એકલો આગળ અાવી “આવો, અાવો રાજસિંહ” કરી તેને પોતાના દીવાનખાનામાં લઈ ગયો. તેનું મ્હોંડું અને પોશાક ન્યાળતાં ન્યાળતાં - ઘણાક તર્ક વિતર્ક કરવા લાગ્યો અને અદ્દભુત આશ્ચર્યમાં મગ્ન થતો બોલ્યો:

“આ શું ? તમે – અત્યારે – અામ ક્યાંથી ?”

“ બુદ્ધિધન ! તમે સારું ન કર્યું. ભૂપસિંહને તો સદાશિવપંતને ઘે૨થી મદદ મળવા માંડી અને મને વચન આપ્યા છતાં તમે મદદ ન આપી એ શું મ્હારા તમારા સ્નેહ-"એમ ક્‌હેતાં ક્‌હેતાં રાજબા અટકી પડી - પુરુષનો ચાળો કરી અક્કડ અને ટટાર થઈ હાથ જમૈયાપર મુકવા ગઈ, પણ