આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧

સ્વાભાવિક રીતે ધાર્યું. તેની ધારણા બર ન આવી.

“ઓ હો હો હો હો! તમે મને હજી સુધી ઓળખી નહી હોય એ તો મ્‍હેં આજ જ જાણ્યું. મને ઓળખી નહી ! એ તો મ્‍હારા ચતુરની ચતુરાઇમાં ખામી આવી હોં !"

“શું ઓળખી નહી ?”

“તમે શું એવું જાણ્યું કે બીજી સ્ત્રિયોપેઠે હું પણ સોનારૂપાની સગી છું? ના, રજ પણ નહી. અલંકાર પ્હેરવા તે શું કરવાને? લોક આપણને શણગરાયલાં દેખી ખુશી થાય એટલા માટે ? ના. ત્યારે શું આપણા શૃંગાર આપણે દેખવા હતા ? ના. આ હું અલંકાર પ્‍હેરુ તે એટલા માટે કે મ્‍હારામાં કંઇ રૂપગુણની ખામી છે તો તેને સટે આવું પ્‍હેર્યાથી મ્‍હારો ચતુર કંઇ સંતોષ પામે છે ?"

“ત્યારે હવે સંતોષ આપવાની કંઇ ગરજ નથી ?”

“ગરજ નથી તો કેમ ક્‌હેવાય? પણ દુ:ખબા બ્હેનને સારુ આ કામ કરવું પડે એ તો મ્‍હારો અને તમારો બેનો ધર્મ છે, અને ધર્મ પ્રમાણે વર્તવું એથી તમને જેવો સંતોષ વળશે એવો બીજાથી નહી વળે એ તે પરિપૂર્ણ જાણું છું ! બોલોજી ! હવે ક્યાં બાંધશો ? હવે કબુલ કરો કે હું મ્‍હાત થયો અને તું જીતી!”

“પતિને જીતવો એ પત્નીનો ધર્મ ખરો ?”

“બધામાં નહી, પણ સ્નેહમાં ને રમતગમતમાં ખરો ! સાંભરતું નથી રતિનું વાકય કે

"स्मरसि स्मर मेखलागुणै- ।
रुत गोत्रस्खलितेषु बन्धनम् ॥ ?

“અલંકાર વગરની લુખી પુખી રૂપ વગરની પણ હું તમારી રતિ અને તમે મ્‍હારા કામ ! તમને તો જીતવાને બાંધવા-જ! સમજ્યા ? મ્‍હારા ચતુર ! – તમારું નામ દેતા દેતામાં તમને જીતું છું !”

ગૃહસંસારની વાતે શુંગાર કથામાં સંક્રાંત થઇ ગઇ; એ સંક્રાંતિ- પ્રસંગે અનેક વિનોદપ્રસંગો દૃષ્ટિગોચર થયા, અને વિદ્વાન, ચતુર અને રસિક ગુણિયલ સાથે વાર્તાવિહાર કરતું પતિનું અંતઃકરણ પળવાર સર્વ પ્રસંગનું સાક્ષિ બની જઇ, જુદું પડી, ગુણિયલના મુખ સામું અનિમિષ નેત્રદ્વારા જોતું જોતું, સ્મરતું કે,

कार्येषु मन्त्री करणेषु दासी ।
भोज्येषु माता शयनेषु रम्भा ॥