વેઠી લેવું - સૌ જાતે જ એકલાં લેવું - સમજ્યાં ! મ્હારા વિદ્યાભાઇ દુઃખના અનુભવ વગરના રહ્યા, અને સરસ્વતીચંદ્રને ઓરમાન માના હાથમાં ગયેલા બાપના બોલનો ચાટકો કેમ લાગ્યો હશે તે અમારા અનુભવ વગરના વિદ્યાભાઇના સમજ્યામાં ન આવ્યું તેનું કારણ અમારાં આ ગુણિયલ ! - જો, આ વાત કરું છું ત્યારે કેવાં શરમાઇ જાય છે ? - પોતાનો વાંક કોને ક્હે ? એમણે મ્હારા વિદ્યાને એકલું સુખ આપ્યું છે ને દુઃખનું નામ સમજવા દીધું નથી એવું કામ કોઇ સજાત સ્ત્રીએ કરવું નહી ! ધણીને દુઃખનો અનુભવ ન કરાવે પોતાનાં દુઃખનાં રોદણાં રોઇ રોઇ કાયર ન કરે - એ તે સ્ત્રીની જાત? માટે ચંદ્રકાંત, તમારે મ્હારા પુત્રનાં વચન સામું જોવું નહી અને ગુણસુંદરીનો જ વાંક્ ક્હાડવો કે વિદ્યાના કાનમાં સુખ વગર બીજો શબ્દ આવવા ન દીધો!"
"આટલો દોષ એમનો. મ્હારા પુત્રનો દોષ એટલો કે એણે એમ જાણ્યું કે આખા જગતમાં ઘેર ઘેર ગુણસુંદરિયો જ વસતી હશે ને ગુણસુંદરી થવું તે રમતવાત હશે ઘેબર ખાનાર જાર ખાનારની કથા ક્યાંથી જાણે ? પણ હું તો જાણું છું. સરસ્વતીચંદ્રને લક્ષ્મીનંદનનાં વેણ વસમાં લાગ્યાં તે લાગે જ. એ કુમળું ફુલ ! એ તે હિમના કડકાનો માર કેમ સહી શકે ? એનું શું ગજું? એણ ધાર્યું તે ખોટું નહી; મ્હારી ગરીબડી કુમુદ ગુમાનના હાથ નીચે એકલી એકલી કચરાઇ રીબાઇ મરી જાત ! ગુમાનના સામાં તો મ્હારાં ગુણિયલ પણ ન ટકે તો કુમુદ તે કોણ માત્ર ? ગુમાનને તો સામું લાંઠ માણસ જોઇયે - મ્હારી કુસુમના જેવું - કેમ કુસુમ ? ગુમાનને તું પાંશરી કરે કે તને ગુમાન પાંશરી કરે?"
"હા, તે અમે એવાં પક્કાં હઇશું?" કુસુમ સુંદરને ખભેથી ઉતરી આઘી બેસી બોલી: "દાદાજી, તમે જ પક્કા છો; ગુણિયલનો વાંક ક્હાડવાનું નામ દેઇ વખાણ કર્યાં !"
"શું પક્ક્કાઈમાં કાંઇ ખોટું છે?"
"ના, શું કરવા ? દાદા પક્કા ત્યારે દીકરી પણ પક્કી જ હોય કની? લ્યો, તમારી વાત કરો - આડી વાત ક્યાં ક્હાડી?"
માનચતુર પાછો વાતમાં પડ્યો " ચાલો ત્યારે, હવે ત્હારી માનાં વખાણે નહી કરિયે ને વાંકે નહી ક્હાડિયે. ચંદ્રકાંત, સરસ્વતીચંદ્રને રોગ પરખતાં આવડ્યો પણ ઔષધ આવડ્યું નહી એમાં તે