આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩

તેની પાસેથી માગ્યું લેવું – પણ આ સાહસ હજી કરવા જેવું નથી.”

“મ્‍હારી નજરમાં પ્રતાપબાપુએ બતાવેલો રસ્તો બહુ વ્યાજબી લાગે છે. વાઘજી ક્‌હેછે તે ખરું છે પણ બુદ્ધિધનની ચોટલી અાપણા હાથમાં આવી એટલે પછી એ ભૂતને ધુણાવવું હશે તેમ કયાં ધુણાવાતું નથી ? વિદ્યાચતુરથી પણ આપણું માગ્યું અપાવવામાં પછી કેમ પાછાં પડાશે ? એની દીકરી સારી રીતે જાળવજો એટલે છુટયા પછી એ આપણું સારું જ બોલશે અને તેમ થશે એટલે દુશ્મનાઈનો અંત આવ્યો સમજવો.

"કેમ વાઘજી ભા ? એમાં કાંઈ વાંધો છે? બોલી જજો બધામાંથી જેને કાંઈ બીજી વાત સુઝતી હોય તો. હા, પછી વખત નથી.”

વાઘજીએ ઉત્તર ન વાળ્યો. બીજું મંડળ પણ શાંત આતુરતાથી બેસી રહ્યું.

સુરસંગે ભીમજીનાં કાનમાં કહ્યું : “શઠરાય હાલ કામમાં લાગે એમ નથી એ મ્‍હેં કાલ નક્કી કર્યું છે.”

ભીમજી મ્‍હોટે સાદે બોલ્યો : “ત્યારે તો ધાર્યું તે નક્કી કરવુંજ, હવે વેળા વીતાડવી નહીં.”

સુરસંગ ટટ્ટાર થયો, છાતી ક્‌હાડી અને તેની સાથે બધું મંડળ ઉઠયું. સુરસંગે બુમ મારી કહ્યું.–“મ્‍હોટાં મળસ્કામાં આ તાડો વચ્ચે સુભદ્રાનદીની આણીપાર આપણે મળવું – ભીમજી, તમે નદીનાં કોતરોમાં ર્‌હેજો. ચન્દનદાસ ત્‍હારે બે વન વચ્ચેના રસ્તાપર ફરવું અને માણસો આઘેથી આવતાં જણાય એટલે સાન કરવી. નદીના પુલ આગળ કોઈ મ્‍હોટા જટાળા ઝાડમાં એક જણને ઢોલ આપી બેસાડવો અને તેની ઢોલ બોલાવે તે પ્રમાણે બધાયે ચાલવું. પરતાપ, તું રસ્તાની પેલી બાજુએ આંબાના વનમાં રહેજે ને વખત પડ્યે આવજે. વાઘજી, તું આ વડની બાજુ સાચવજે, હું ચારે પાસ ફરતો રહીશ. સઉએ પોતપોતાનાં માણસ લેઈ છુટાં છુટાં ફરવું અને વખત આવ્યે ભેળા થવું – હવે શંકર સહાય થશે અને આટલા વરસનાં દુઃખનો છેડો આવશે એ નક્કી.”

“ચન્દનદાસ, હું આખો દિવસ સુવર્ણપુરમાં જ હતો, આપણું ધાર્યું થશે એ લોકના સાથમાં માત્ર રત્નનગરીના દશેક સ્વાર જ છે, પણ ફેર એટલો છે આપણે ચીથરે હાલ છિયે અને તે લોકો સારા સરંજામવાળા છે. બુદ્ધિધનનાં પણ માણસ હશે. માટે સં-