આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯

હોવાથી દૃષ્ટાંતરૂપે ર્‌હેતી અને એ દૃષ્ટાંત જોઇ બીજા અધિકારિયો રાજાપ્રધાનની ઈચ્છા શી છે અને પોતે શું કરવું તે સમજતા ગુણસુંદરી - રાજ્યકાર્યમાં માથું ઘાલતી ન હતી, પરંતુ મનહરપુરી તે પોતાની ગણતી અને રાજ્યકાર્યમાં માથું ઘાલ્યા વિના અકેલી મનહરપુરમાં સ્વામીનું કામ કર્યા જેવું કરતી.

વિદ્યાચતુરે ઇંગ્રેજી અને દેશી રાજ્યનો અનુભવ કરી એક સિદ્ધાંત એ બાંધ્યો હતો કે, પોતાનામાં સરસ્વતી, બુદ્ધિ, નીતિ અને વૃત્તિ હોય તો દેશી રાજ્યના તંત્રિયો પોતાની પ્રજાનું કલ્યાણ અને રાજ્યની ઉન્નતિ એટલે સુધી કરી શકે કે ગમે એટલા પરમાર્થી હોવા છતાં પોતાના પેટઉપર અચુક લક્ષ્ય આપનાર ઇંગ્રેજી રાજ્યકર્તાઓને વશ થયેલી દેશી પ્રજા સ્વપ્ને પણ દેખી ન શકે, માથે અનીતિ અને અન્યાયનો જુલમ હોવા છતાં ઘણાંક દેશી રાજયોની પ્રજા દ્રવ્યનું સુખ ભોગવે છે : એવું ઇંગ્રેજી અને દેશી હદનાં ગામડાં સરખાવનારના મનમાં આવ્યા વિના ર્‌હે એમ નથી – તે જુલમવિનાની પ્રજા દેશી હદમાં કેવી ઉન્નતિ પામી શકે તે જગતને દેખાડી આપવું એવો વિધાચતુરનો ઉત્સાહ હતો. તેના મુખથી આવી આવી વાતો ઘણીકવાર ગુણસુંદરી સાંભળતી અને પતિના ઉત્સાહનું વીર્ય સ્વાભાવિક રીતે પત્નીના હૃદયમાં ઢોળાતું અને ગર્ભજેવા પ્રતિધ્વનિરૂપે અંતર્માં ને અંતર્માં સ્ફુરતું. આવી સગર્ભાનું દોહદ મનહરપુરીની પ્રજાના કલ્યાણના ઉપભેાગથી પુરાતું. આવું આવું જોઈ પ્રધાન પોતાની સ્ત્રીને આપેલી વિધા સફળ થઈ માનતો અને પુત્રપ્રાપ્તિનાથી અધિકતર આનંદ પામતો. તેને આનંદ પામતો જોઈ પત્ની વધારે ઉત્સાહી બનતી. પતિપત્નીનાં હૃદય એક જ રસથી ઉભરાય, એક જ વિષયથી આનંદ પામે, પરસ્પર આનંદને વધારે અને ભોગવેઃ આ પરિણામથી ગુણસુંદરી પોતાનું લગ્ન સફળ થયું માનતી.

જેમ મિત્રો એક બીજાની છાની વાતે જાણી ખરી મિત્રતા બંધાઇ સમજે છે; જેમ શેઠના દ્રવ્ય અને વ્યાપારનો મંત્ર જાણી સદ્દગુણી મુનીમ પોતાને શેઠનો ખરે વિશ્વાસપાત્ર સમજે છે; જેમ રાજાના અત્યંત વિશ્વાસનું પાત્ર બનતાં સત્પ્રધાન પોતાની સદ્બુદ્ધિ વાપરવામાં સ્વતંત્ર બને છે અને રાજ્યસેવાને ઉત્સાહી થાય છે; જેમ ધર્મિષ્ઠ અને બુદ્ધિમાન્ રાજાના પાલનથી પ્રજા ખરેખરી રાજભક્ત થાય છે; જેમ શુદ્ધ- અંત:કરણ સાથે ઉચ્ચ સંસ્કારનો યોગ થતાં ભિન્ન ભિન્ન રૂપે પરમાનંદ ઉદ્દીપ્ત થાય છે તેમજ વિદ્યાચતુરનાં સુખદુ:ખ સમજવાની ઇચ્છારૂપ