આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
- “તણાતી જોગણ પણ કોડે....... જોગીડા૦
- “જોગી! તું જોગણનો ગુરુ થાજે,..જોગીડા૦
- “જોગણને તું જોડે સોડે સ્હાજે.....જોગીડા૦
- “જોગીડા ! તું સમશ્યામાં ગાજે,....જોગીડા૦
- “જોગણ આવી સાંભળશે સાંજે.....જોગીડા૦
- “મોરલીમાં સ્નેહભર્યું વાજે,.........જોગીડા૦
- “અવ્યક્તનું વ્યંગ બધું ગાજે........જોગીડા૦
- “વાંસલડીમાં બ્રહ્મનું પદ વાજે,.....જોગીડા૦
- “મ્હારા ત્હારા અદ્વૈતને ગાજે........જોગીડા૦
- “વાંસલડીમાં સંસાર સારવજે,......જોગીડા૦
- “ગાયામાં પરમાનંદ ભરજે !.........જોગીડા૦
- “મહાકાળની નદીને ઘાટે,..........જોગીડા૦
- “ઉભો ઉભો વાંસલડી વાજે.........જોગીડા૦
- “કુમુદ દુઃખશોક તરે તે કાજે,.......જોગીડા૦
- “વાંસલડી ધુન ભરી વાજે !........જોગીડા૦”
મનહરપુરીમાંથી માનચતુર સ્વારોને લેઈ નીકળ્યો તે પછી એના ઉતારામાં સર્વ સુવાને વેરાઈ ગયાં અને પોતપોતાની પથારીમાં સુતાં પણ બરોબર ઉંઘ્યા નહી. ચંદ્રકાંત પાછલી રાત્રના ત્રણ વાગતાં વિચાર કરતાં કરતાં ઉંઘી ગયો અને સરસ્વતીચંદ્રના સ્વપ્નોમાં પડ્યો. સુંદરગૌરી રોતી રોતી નિદ્રાવશ થઈ. ગુણસુંદરી સુતી ખરી પણ આંખો ઉઘાડી રાખી પ્હીંડો સામું જોઈ રહી અને પ્રાત:કાળમાં ઉઠી ત્યાંસુધી વિચાર અને ચિંતામાં કાળ ગાળ્યો. પ્રાતઃકાળ થતાં સર્વ કંઈ કંઈ કામમાં વળગ્યાં અને ઉંચે જીવે કામ કરવા લાગ્યાં. ચંદ્રકાંતનું આતિથેય[૧]કરવાનું કુસુમને માથે આવ્યું. ચંદ્રકાંતને ચ્હા પાવાનું અને દુધ પાવાનું કામ
- ↑ ૧ખાતરબરદાશ