નીચેના મહાસાગરમાં સરી પડતા હોય એમ એ પાણીની ધારાઓ
એના શરીરપાસેથી સરી, નીચે ટપકી જતી હતી. આ મનુષ્યદેહનું
અાયુષ્ય ખુટી રહ્યા પછી અને પરમાત્મરૂપ જગદમ્બાના પારલૌકિક
સાનિધ્ય પામતા પ્હેલાં વચગાળે શરીરને શબરૂપ થઈ શબવાહની[૧] ઉપર
ચ્હડવું પડે તેમ અત્યારે કુમુદસુંદરી સ્ત્રીઓના હાથ ઉપર ચ્હડેલી હતી,
અને આ સુંદર ચિત્તપવિત્ર ધામ ભણી અદૃશ્ય ઈશ્વરની ઈચ્છા એને
ગુપ્ત આકર્ષક કિરણો વડે ખેંચી લેતી હતી. દુષ્યંતને ત્યાં અનભિજ્ઞાન
અને તિરસ્કાર પામેલી શકુંતલા પતિમંદિરની બ્હાર નીકળી કે
દયા-વત્સલ માતૃજ્યોતિ એને આ પૃથ્વી ઉપરથી અદ્ધર ઉપાડી ગયેલું
મહાકવિએ ગૂઢ મર્મ રાખી વર્ણવેલું છે તેમ એવા જ ગહન દુઃખને
વશે નિર્વાસન [૨] પામેલી આ રંક અનાથ પુત્રીને ઉપાડી શરણવત્સલ
નિરંજન માતૃજ્યોતિ જ માતૃગૃહમાં [૩]આજ તાણી લેતું હતું અને વિધાતાની
ગતિ ન સમજતાં મન્દબુદ્ધિના સુવર્ણપુરમાં ચારે પાસથી પવનની ફૂંક
ઉપર ચ્હડી આકાશવાણી ઘણાક કાનમાં ક્હેતી હતી કે
- [૪]*सा निन्दन्ती स्वानि भाग्यानि बाला
- बाहूत्क्षेपं क्रन्दितुं च प्रवॄत्ता ।
- स्त्रीसंस्थानं चाप्सरस्तीर्थमारा-
- दुत्क्षिप्यैनां ज्योतिरेकं जगाम ॥
- विगतमानमदा मुदिताशयाः
- शरदुपोढशशाङ्कसमत्विषः ।
- प्रकॄतसंव्यवहारविहारिणस्
- त्विह सुखं विहरन्ति महाधियः ॥
(જેના માન અને મદ જતાં રહ્યાં છે; જેના આશયનું લોક મોદન કરે છે, શરદના પૂર્ણ ચંદ્રના જેવી જેની મનઃકાન્તિ છે, અને પ્રકૃતિથી પ્રવાહ- પતિત થઈ આવેલા શુભ વ્યવહારમાં જેઓ વિહાર કરે છે, એવા મહાબુધ્ધિવાળાઓ તો આ લોકમાં સુખે વિહરે છે –યાગવાસિષ્ઠ. )