અને કુમુદને માથે જે વીતી છે તેનો ખંગ વાળવાને આ જ રસ્તો બતાવે છે."
વિ૦— "એ તો ગમે તે ક્હે."
ગુ૦— "વનલીલા પણ લખે છે કે આ ઘર ઉંધું વળ્યું અને બુદ્ધિધનભાઈને કુમુદનું દુઃખ દેવીના દુઃખ કરતાં વધારે લાગે છે તે સઉમાંથી એમનો ઉદ્ધાર કરવાનો એક આ જ માર્ગ છે ને તેથી ઘણાંક અંત:કરણ શીતળ થશે."
વિ૦— "એ સર્વ કરતાં પણ કુસુમ કુમારી સારી. પુત્રી દેતાં પુત્રીના જ સ્વાર્થનો વિચાર કરવો."
ગુ૦— "આપ શું બોલો છો તેની મને સમજણ નથી પડતી. શું કુસુમનો સ્વાર્થ કુમારાં ર્હેવામાં છે? ગમે તો સંસારના પ્રવાહ અવળે માર્ગે ચાલે છે કે ગમે તો દુ:ખથી આપણી બુદ્ધિઓ બ્હેરી થઈ છે.
વિ૦— "ગુણીયલ, મને પણ એમ જ લાગે છે. મને લાગે છે કે આપણે બે જણ આજ ઘેલાં થયાં છીએ."
ગુ૦— "બીજા બે પત્રો તો વાંચો."
વિદ્યાચતુરે તે પત્ર ટેબલ ઉપર નાંખ્યા.
"હું તો એ પત્રો કાંઈ વાંચતો નથી ! ગુણીયલ, સરસ્વતીચંદ્રનું નકી થાય ત્યાં સુધી કાંઈ વિચાર કરવો નથી.
ગુ૦— "એ તો સત્ય; પણ આ યે જાય ને તે યે જાય એમ ન થાય ! કોઈ આપણા ઉપર બેશી રહ્યું નથી ને મમતાથી બોલાવનારને ધક્કો મારી આપણેજ ગરજ બતાવવી પડે ને મા તું ક્હેતીતી તે ક્હે ન થાય!"
વિ૦— "ઠીક-ઠીક, જોઈશું."
દ્વાર અર્ધ ઉઘાડું હતું ત્યાં ઉભી ઉભી કુસુમ આ સઉ સાંભળતી હોય તેમ વિદ્યાચતુરને લાગી, અને તેમ લાગતાં તેણે ધીમે રહી તેને બોલાવી.
“કુસુમ!”
દ્વાર આગળથી કુસુમ વીજળીના ચમકારા પેઠે ઝપાટાબંધ બીજી પાસ ચાલી ગઈ. ચાલતાં ચાલતાં માતાપિતાની આંખો ને પોતાની અાંખો બતાવી છતી થતી ગઈ. જન્મયા પછી તેમની આજ્ઞા આજ જ પ્હેલવહેલી એણે લોપી, એની આંખોમાં તીવ્ર રોષની રતાશ અને