સર૦- તે અસ્તુ. પણ વાંધો એટલો આવે છે કે અર્થદાસ એ માણસનું
નામ નવીનચંદ્ર ક્હેતો નથી પણ ચાંદાભાઈ ક્હે છે.
ચંદ્ર૦- એમાં કાંઈ નહી – જે એક નામને બદલે તે બીજા નામને પણ બદલે.
સર૦- તે જે હોય તે ખરું. હવે અમે અમારા રાજ્યમાં ગામે ગામે થાણાંઓમાં નવીનચંદ્ર અને ચાંદાભાઈને અમુક નીશાનીઓ વડે શોધવા આજ્ઞાઓ મોકલી છે – પણ કોઈ ઠેકાણેથી હજી પત્તો નથી.
ચંદ્ર૦– થયું, એનો પત્તો નથી ત્યારે બીજી વાતો ધુળ ને ધાણી.
સર૦- એમ જ છે, પણ હવે કાંઈક આશા પડે છે.
ચંદ્ર૦- શી ?
સર૦– આપણી વાતો થાય ને અમારું કામ થાય એવો માર્ગ હવે લેવાનો છે, આપ અમને સાક્ષ્ય [૧] આપો તે આ માણસ લખશે.
“મ્હારું સાક્ષ્ય ! તે શાનું ? આ શી ધાંધળ છે ? ” ચંદ્રકાંત ભડકીને બોલ્યો.
સર૦- હાજી, બોલો, હું સંક્ષેપમાં જ પુછી લેઈશ. આપ આજ અપૂર્ણ વસ્ત્રો પ્હેરી સૌન્દર્યોદ્યાનમાંથી બ્હાર નીકળ્યા હતા અને ત્યાં કોઈ સાધુ આપને મળ્યો હતો ?
ચંદ્ર૦- હા, તમે શાથી જાણ્યું?
સર૦– એ પ્રશ્ન અકારણ છે, એ સાધુએ સરસ્વતીચંદ્રની વાત કરીને આપને તેને મળવાને બોલાવ્યા છે?
ચંદ્રકાન્ત અટક્યો. સાધુએ જે વાત ગુપ્ત રાખવા ક્હેલી તે ક્હેવું જેવું અનિષ્ટ હતું તેવું જ તેનું ગોપન પણ અસત્ય ભાષણ વિના અસાધ્ય હતું અને અસત્ય તે અનિષ્ટ જ હતું. સરદારસિંહ તેનો ગુંચવારો સમજ્યો હોય તેમ બોલ્યો.
“આપને એ વાત ગુપ્ત હોય તો બલાત્કારે પ્રકટ કરાવવાનું મ્હારે કારણ નથી. મ્હારે એટલું જ ક્હેવાનું છે કે એ સાધુ આપની પાસે જે વાત ગુપ્ત રીતે કરે તે પુરેપુરી રાખજો અને આપને પોતાની સાથે કંઈ તેડી જવા ક્હે તો અમને સમાચાર કહી પછી ખુશીથી જજો અને જેટલી વાત અમને ક્હેવી તમને યોગ્ય લાગે તેટલી ક્હેજો ને ક્હો તે
- ↑ ૧ જુબાની