આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
સરદાર વલ્લભભાઈ


મુલતવી રાખવાની પ્રજાને સલાહ આપી છે. તે પણ તેઓ નિરંતર પૂછ્યા કરતા હતા તેથી. પ્રજાએ કલેક્ટરના હુકમને ન માનવા એવો ભાવાર્થ છે જ નહી.
મિ. પ્રૅટ: તમે વકીલ છો તેથી તમે એટલું તો સમજી શકો કે દરેક વ્યક્તિ પોતે જે કામ કરે તેને માટે જવાબદાર ગણાય. આ નોટિસનો અર્થ એવો થાય કે પાકની આનાવારી કરવાનું તમે ખેડૂતને પોતાને જ સોંપી દો છો, પછી ભલે તે ગમે તેવો મામૂલી માણસ હોય.
શ્રી દેસાઈ: તમે નોટિસનો જે અર્થ કરો છે તે બરાબર નથી.
મિ. પ્રૅટ: હું દલીલમાં ઊતરવા ઇચ્છતો નથી. હું નોટિસનો બરાબર અર્થ કરી શકું છું. તમે જુવાન અને બિનઅનુભવી માણસ છો. હું ઇચ્છું છું કે તમારે આ નોટિસ વિષે ફરી પુખ્ત વિચાર કરવો અને આવતી કાલ સાંજ સુધીમાં તમારા છેવટના નિર્ણયની મને ખબર આપવી.
શ્રી દેસાઈ: એ પ્રશ્ન વિષે ફરી વિચાર કરવાની અમને જરૂર જણાતી નથી. વળી તમે મુદ્દત ઘણી ટૂંકી આપો છો. અમારા પ્રમુખ સાહેબ હાલમાં ચંપારણ (બિહાર) ગયા છે.
મિ. પ્રૅટ: મને ખબર નહીં કે તમારા આગેવાનો હિંદની ચારે દિશાઓમાં ઘૂમતા ફરતા હશે. મારે એ જાણવાની જરૂર પણ નથી.
શ્રી માવળંકર: આ બાબત ફરી વિચાર કરવા માટે તો અમારે કારોબારી મંડળની સભા બોલાવવી પડે. તે આટલા ટૂંક સમયમાં બની શકે નહીં.
મિ. પ્રૅટ: તેમાં હું શું કરું? એ કાંઈ મારું કામ નથી. જો આવતી કાલ સાંજ સુધીમાં તમારા તરફથી કાંઈ ખબર નહીં મળે તો સરકારમાં એ વિષે લખાણ કરવામાં આવશે, અને સભાને સરકાર ગેરકાયદે ઠરાવશે.
તે જ દિવસે ગુજરાત સભાની કારોબારી મંડળની તાકીદની મીટિંગ બોલાવીને મુલાકાતનો બધો હેવાલ તેની આગળ રજૂ કરવામાં આવ્યો. તેણે ઠરાવ કર્યો કે:
“...ખેતરમાં પાક ચાર આનીથી કમી થયો હોય છતાં તેના જમીનમહેસૂલની માગણી કરવામાં આવે તો તેવે પ્રસંગે જમીનમહેસૂલ ભરવાનું મુલતવી રાખવું એ ગેરવાજબી નથી, તેમ ગેરકાયદે પણ નથી... માટે મહેસૂલ ભરવાનું મુલતવી રાખવાની ખેડા જિલ્લાના ખેડૂતોને આપેલી ખબર ગેરકાયદે, અયોગ્ય કે વાંધાભરેલી નથી. સભાએ ભરેલુ પગલું મહેસૂલ મુલતવી રખાવવા માટે કરેલા પ્રયાસનો લાભ ખેડૂતને મળે તે માટે જરૂરનું છે.”
આ ઠરાવની નકલ કમિશનરને મોકલી આપવામાં આવી.
તે જ દિવસે ગાંધીજીને પણ બનેલી સઘળી હકીકતની તારથી ખબર આપવામાં આવી. તેનો તેઓશ્રીએ તારથી નીચે પ્રમાણે જવાબ આપ્યો:
“કમિશનરને લેખી જવાબ આપો કે અમલદારોના ભય અને ત્રાસને લીધે કેટલાક ગરીબ ખેડૂતોને મહેસૂલ ભરવા માટે ઢોર વગેરે વેચવાની ફરજ