આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
ખેડા સત્યાગ્રહ - ૧


સરકારને અને જગતને ખાતરી કરી આપવી છે કે એ રીતે પ્રજાને શુદ્ધ ન્યાય મળી શકે છે. . . .”

બીજે દિવસે એટલે તા. ૫મી ફેબ્રુઆરીએ અગાઉ કરેલી ગોઠવણ પ્રમાણે સર દિનશા વાચ્છા, ના. પારેખ-પટેલ તથા ગાંધીજી, એમણે ગવર્નરની મુલાકાત લીધી. ગવર્નરની સાથે રેવન્યુ મેમ્બર મિ. કાર્મઈકલ તથા ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રૅટ હાજર હતા. ચર્ચાને અંતે ગવર્નરે જણાવ્યું કે પોતાનો નિર્ણય બે ત્રણ દિવસમાં તેઓ લખી જણાવશે. ગાંધીજીએ પોતાને મુકામે પહોંચીને ગવર્નરને નીચે પ્રમાણે પત્ર લખી મોકલ્યો:

“હું આશા રાખું છું કે મારી આજની સૂચના મુજબ સરકાર તપાસ ચલાવવાના નિર્ણય ઉપર આવશે, એટલું જ નહીં પણ તે માટે એક સ્વતંત્ર પંચ નીમશે. તે માટે પાંચ સભાસદો પસંદ કરવામાં આવે તેમાં ના. પારેખ અને ના. પટેલને રાખવા મારી ખાસ ભલામણ છે. આ બંને ગૃહસ્થોએ આ વિષયમાં શરૂઆતથી જ રસપૂર્વક ભાગ લીધો છે. એટલે તેઓના નિર્ણય સામે કોઈને કહેવાનું રહેશે નહીં. પંચના પ્રમુખ તરીકે ડૉ. હૅરોલ્ડ મૅનનું નામ સર્વમાન્ય થશે એવું મારું માનવું છે. તેમને બદલે મિ. યુબૅન્કની પસંદગી પણ એટલી જ આવકારલાયક ગણાશે. હું આજ સાબરમતી જાઉં છું. બે ત્રણ દિવસ આશ્રમમાં રોકાઈશ. મારી જરૂર પડે તો ત્યાં મને ખબર આપશો.”
ગવર્નરના મંત્રીનો તા. ૯મીના રોજ ગાંધીજીને જવાબ મળ્યો કે:
“. . . તા. ૫મીએ ગવર્નર સાહેબની સાથે થયેલી વાતચીત અને વર્તમાનપત્રોમાં બહાર પડેલા હેવાલો જોતાં સ્થાનિક અમલદારો જાણીબૂજીને સખત થયા છે એમ માનવાનું સહેજ પણ કારણ તેમને દેખાતું નથી. તેથી તપાસ કરવા સ્વતંત્ર પંચ નીમવાથી લાભ થાય એવું તેઓ માનતા નથી.
“લોકોના મનમાં જે વહેમ ભરાયો છે તે કાઢવો જોઈએ, એવું જેમ તમે માનો છે તેમ તેઓ પણ માને છે. અને પાંચમી તારીખે તમે જે હકીકતો સાંભળી તે ઉપરથી તમે લોકોના મનમાંથી ખોટો ભ્રમ દૂર કરવામાં બનતી સહાય કરશો એવી તેઓ આશા રાખે છે.”
આમ ગવર્નર સાહેબ છૂટી પડ્યા.

તા. ૬ઠ્ઠીએ સાબરમતી આશ્રમમાં પહોંચ્યા પછી મામલતદારો અને કલેક્ટરે વખતોવખત કાઢેલી બધી નોટિસો અને સકર્યુલરો ગાંધીજીને બતાવવામાં આવ્યા. એની ભાષા એમને બહુ કઠી અને ધમકીઓ વધારે પડતી લાગી. એટલે તા. ૭મીએ કમિશનરને તેમણે કાગળ લખ્યો:

“કપડવંજના મામલતદારની સહીની થોડીક નોટિસો મારા વાંચવામાં આવી. . . . તેમાં લખ્યું છે કે તા. ૧૧મી પહેલાં જમીનમહેસુલ ભરી દેવામાં