આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
સરદાર વલ્લભભાઈ


તેમ સાત આની નહીં પણ) છ આનીથી ઓછો થાય છે. ખેડૂતોના હિસાબે તો પાક ચાર આની પણ ઊતરતો નથી.”

પ્રજા પક્ષ તરફથી રજૂ કરવામાં આવતી હકીકતો માનવા સરકારી અમલદારો તૈયાર નહોતા, તેમ બીજી કશી દલીલ સાંભળતા નહોતા. તેમણે તો અત્યાર સુધીમાં થયેલો પાક જમીનમહેસૂલ ભરવા માટે પૂરતો સંતોષકારક છે એવી છાપેલી પત્રિકાઓ કાઢી તેના ઉપર ખેડૂતોને ફોસલાવીને તથા દબાવીને તેમની સહીઓ લેવા માંડી હતી. આવાં સરકારનાં કામો સામે પોતાનો વિરોધ દર્શાવતા અને અમલદારોને સમજાવવાનો પ્રયત્ન કરતા કાગળો ગાંધીજીએ ઘણા લખ્યા. એ બધાના જવાબમાં કમિશનરે લખ્યું કે:

“તમારી અને કલેક્ટરની વચ્ચે હું એટલો બધો મતભેદ જોઉં છું કે તેનો મેળ ખાય તેમ નથી. મને પોતાને લાગે છે કે તમારું અને તમારા મિત્રોનું દૃષ્ટિબિંદુ ભૂલભરેલું છે. કલેક્ટરની દલીલ ખરી છે. આ સંજોગોમાં ખેડૂતો માટે સારો અને ડહાપણભર્યો રસ્તો એ જ છે કે તેમણે વેળાસર જમીનમહેસૂલ ભરી દેવું. તેમની દાદ સાંભળવામાં નથી આવી એવી ફરિયાદ કરવાનું તેમને કાંઈ પણ કારણ નથી. પ્રજાએ રાજનો ભાગ રાજને આપવો જ જોઈએ. ખાસ કરીને દીવાની હકૂમતથી પણ મુક્ત રાખવામાં આવેલા અચલિત કાયદાના હુકમની સામે થવું અને કાયદાનો અનાદર કરવો એને હું દાંડાઈ જ કહું હું જાણું છું કે દાંડાઈ શબ્દ તમને પસંદ નથી પણ ગુજરાતના ખેડૂતો આવા વર્તનને માટે આ શબ્દનો ઉપયોગ કરે છે. . . .
“હિંદુસ્તાનમાં જમીનમહેસૂલ ભરવાના કાયદાનો ભંગ કરવો, જેના પરિણામે આખે રાજ્યવહીવટ થંભી જાય, એ બીજા કાયદાઓનો ભંગ કરવાથી જુદી વસ્તુ છે. . . .”
પછી ગાંધીજીએ ગર્વનરને કાગળ લખી જણાવી દીધું કે:
“. . . મને આશા છે કે મેં અને મારા મિત્રોએ મેળવેલી હકીકતો તથા પ્લેગ અને મોંઘવારીનાં સંકટ ધ્યાનમાં લઈ મહેસૂલ મુલતવી રાખવામાં આવશે અથવા તો મારી પ્રથમ માગણી મુજબ પંચ મા૨ફત તપાસ ચલાવવામાં આવશે. પરંતુ આ મારી છેવટની વિનંતીનો સદંતર ઇનકાર કરવામાં આવશે તો મિલકત જપ્ત થાય કે વેચાઈ જાય, અગર ખેતરો ખાલસા કરવામાં આવે, તો પણ જમીનમહેસૂલ નહીં ભરવાની ખેડૂતવર્ગને જાહેર રીતે સલાહ આપવાની મને ફરજ પડશે.
“. . . મેં ખેડા જિલ્લામાં પગ મૂક્યો ત્યારે આપને ખાતરી આપી હતી કે કોઈ પણ ઉગ્ર ઉપાય લેતા પહેલાં આપને ખબર આપીશ. હું ઉમેદ રાખું છું કે આ પત્ર દ્વારા નિવેદન કરેલી હકીકતો આપ ધ્યાનમાં લેશો. રૂબરૂ મળવાની જરૂર જણાય તો ખબર આપશો એટલે તરત આવીશ.”