આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
ખેડા સત્યાગ્રહ - ૨


તેથી અને ગરીબના રક્ષણ ખાતર પોતાનું મહેસૂલ ન ભરે તેમા દાંડાઈ નથી પણ બહાદુરી છે. આમ કરતાં ઘરબાર ખોવાં પડે તો તે ખુએ એ જ માણસ આ વ્રત લઈ શકે છે.
“લોકો પ્રતિજ્ઞા લઈને તોડે અને ઈશ્વરથી વિમુખ થાય એ મને અસહ્ય છે. તમે ખોટી પ્રતિજ્ઞા લો તો મને અત્યંત દુ:ખ થાય, મારે ઉપવાસ કરવા પડે. મને ઉપવાસથી એટલું દુ:ખ નથી થતું, જેટલું લોકો મને છેતરે, પોતાની પ્રતિજ્ઞા તોડે તેથી થાય છે. સત્યાગ્રહમાં પ્રતિજ્ઞા સૌથી કીમતી છે. તે જાળવવી જ જોઈએ. ઈશ્વરને નામે લીધેલી પ્રતિજ્ઞા તોડી શકાય જ નહીં. હજારો માણસોની પ્રતિજ્ઞા મારે ભોગે પળાતી હોય તો આ દેહ જાય તો પણ ભલે. પ્રતિજ્ઞા ન લે તેનું મને દુઃખ નથી પણ લીધા પછી પ્રતિજ્ઞા તોડીને મને આઘાત પહોંચાડે તેના કરતાં રાત્રે આવી મારી ગરદન કાપે એ ઠીક. મારી ગરદન કાપનારને માફ કરવા હું ઈશ્વરને કહું, પરંતુ પ્રતિજ્ઞા તોડનારને માટે હું માફી માગી શકું નહીં. માટે જે નિર્ણય કરો તે સાવધ થઈને કરજો. પોતાના નિશ્ચયને વળગી રહેનાર પ્રજા ચઢશે. ત્યારે સરકાર પણ તેને માન આપશે. તે જાણશે કે આ પ્રજા પ્રતિજ્ઞા પાળનાર છે. પ્રતિજ્ઞા તોડનાર નથી દેશને કામનો, નથી સરકારને કામનો કે નથી ઈશ્વરને કામનો.”

તે જ દિવસે લગભગ બસો માણસોએ સત્યાગ્રહની પ્રતિજ્ઞા ઉપર સહી કરી. પછી તો દિનપ્રતિદિન પ્રતિજ્ઞા લેનારની સંખ્યા વધતી ગઈ.

બીજે જ દિવસે એક રમૂજી કિસ્સો બન્યો. ક૫ડવંજ તાલુકાનાં ગામડાંમાં ફરી લડતનો પ્રચાર કરનાર એક સ્વંયસેવક શાહ ભૂલાભાઈ રૂપજી ઉપર મામલતદારે હુકમ કાઢ્યો:

“વસૂલાતના કામમાં લોકોને ખોટું સમજાવી ઉશ્કેરણી કરવા બદલ સને ૧૮૭૯ના લૅન્ડ રેવન્યુ કોડની કલમ ૧૮૯ મુજબ જવાબ આપવા કચેરીમાં તા. ૨૬-૩-’૧૮ના રોજ હાજર થવું.”

શાહ ભૂલાભાઈ ઠરાવને દિવસે વખતસર મામલતદારની કચેરીમાં હાજર થયા. કામ નીકળતાં સરદાર એમના બૅરિસ્ટર તરીકે ઊભા રહ્યા અને ભૂલાભાઈ પાસે નીચે પ્રમાણે જવાબ રજૂ કરાવ્યો:

“ . . . સમન્સમાં જણાવવામાં આવે છે કે વસૂલાતના કામમાં લોકોને ખોટું સમજાવી ઉશ્કેરો છો. પણ મેં કાઈને ખોટી સલાહ આપી નથી, તેમ જ કોઈને ખોટા ઉશ્કેર્યા નથી. લોકો કોઈ રીતે ખોટું સમજ્યા હોય અગર ઉશ્કેરાયા હોય એમ બન્યું નથી. હું લોકોને તદ્દન વાજબી અને સાચી સલાહ આપું છું. મારા ગામનો પાક ચાર આનીથી ઓછો થયેલ છે, અને તેથી સરકારના નિયમને આધારે મારા ગામના લોકો જમીનમહેસૂલ નહીં ભરવાને હકદાર છે.