આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
સરદાર વલ્લભભાઈ


ગાંધીજીએ દિલ્હીથી આવ્યા પછી તા. છઠ્ઠી મેના રોજ આ યાદીના એકેએક મુદ્દાનો વિગતવાર રદિયો આપ્યો. મુખ્ય વાત તેમણે એ કહી કે, “સરકારને હવે સ્વતંત્ર પંચ નીમવાની આવશ્યકતા ન જણાતી હોય તો જ્યારે મહેસૂલની જૂજ રકમ બાકી છે ત્યારે સરકાર તે મુલતવી કેમ રાખતી નથી ? આથી ચોખ્ખી પ્રતીતિ થાય છે કે સરકાર હઠ પકડીને બેઠી છે, અને કમિશનર તેમાં આગેવાન બન્યા છે.”

ગાંધીજી દિલ્હી ગયા ત્યારથી અને તેમના પાછા ફર્યા બાદ આખા મે મહિનામાં બાકી રહેલું મહેસૂલ વસૂલ કરી લેવાને જપ્તીઓનો સપાટો બહુ વધી પડ્યો હતો. સરકારે તે માટે ખાસ વધારાના અમલદારો નીમ્યા હતા. ઘણા આસામીઓની જમીન ખાલસા કરવામાં આવી હતી, છતાં એ ખાલસાવાળા આસામીઓનું મહેસૂલ પણ તેમને ઘેર જપ્તી કરીને વસૂલ કરવામાં આવતું. અને મહેસૂલ વસૂલ થાય એટલે જમીન ખાલસા રહેતી નહોતી. આ જોઈ તા. ૧રમીના રોજ ગાંધીજીએ બોરસદ તાલુકાના ટુંડાકૂવા ગામમાં નીચે પ્રમાણે ભાષણ કર્યું:

“તમે જોયું હશે કે આપણી લડતમાં પૂરેપૂરી નહીં તોપણ લગભગ પૂરી જીત આપણને મળી છે. પ્રૅટ સાહેબે જે ધમકી આપી હતી અને જે પ્રતિજ્ઞા કરી હતી તે તેઓ પાળી શક્યા નથી. કોઈ પ્રતિજ્ઞા લે ને ન પાળી શકે એમાં સત્યાગ્રહી જીત ન માને. પણ પ્રતિજ્ઞા દૈવી પણ હોય અને રાક્ષસી પણ હોય. દૈવી પ્રતિજ્ઞા મરણ પર્યંત પાળવી જ જોઈએ, રાક્ષસી પ્રતિજ્ઞાની સામે મરણ પર્યંત લડવું જ જોઈએ. પ્રૅટ સાહેબની પ્રતિજ્ઞા રાક્ષસી હતી. તેમણે કહ્યું હતું કે તમારી જમીન ખાલસા થશે અને તમારા વારસોનાં નામ પણ સરકારના ચોપડામાં નહીં રાખવામાં આવે. પણ તેઓ જમીન ખાલસા નથી કરી શક્યા. તેમ કરત તો પ્રજાની હાય તેમને જરૂર લાગત. આખા હિંદુસ્તાનમાં ખેડાના કાળા કોપની બૂમ પડત. આ સ્થિતિમાંથી પ્રૅટ સાહેબ બચી ગયા છે.”

જપ્તીઓનું દમન જિલ્લામાં પૂરજોસથી ચાલી રહ્યું હતું તે વખતે ગાંધીજીને ખાસ કામ પ્રસંગે બિહાર જવું પડ્યું. એટલે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવાની મુખ્ય જવાબદારી સરદાર ઉપર આવી પડી. તેઓ અને બીજા કાર્યકર્તાઓ પગ વાળીને બેસતા નહીં. પણ આખા જિલ્લાને એકસરખું માર્ગદર્શન આપવાની જરૂર હતી તે માટે પ્રજા જોગ પત્રિકા દ્વારા સરદારે સંદેશો આપ્યો કે :

“…પ્રજામત અને આંધળો અમલ એ બેની વચ્ચે દારુણ ધર્મયુદ્ધ ચાલે છે. સરકારે સત્તાના બળથી જમીનમહેસૂલ વસૂલ કરી લેવા નિશ્ચય કર્યો છે. . . . તે માટે ખાસ વધારાના અમલદારો નીમ્યા છે અને કચેરીના