આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
સરદાર વલ્લભભાઈ


સેનાપતિની ચતુરાઈ પોતાનું કારભારી મંડળ પસંદ કરવામાં રહેલી છે. ઘણા માણસો મારી સલાહ માનવાને તૈયાર હતા પણ મને વિચાર થયો કે ઉપ-સેનાપતિ કોણ થશે ? ત્યાં મારી નજર ભાઈ વલ્લભભાઈ પર પડી. મારે કબૂલ કરવું જોઈએ કે મેં ભાઈ વલ્લભભાઈની પહેલી મુલાકાત લીધી ત્યારે મને એમ થયેલું કે આ અક્કડ પુરુષ તે કોણ હશે ? એ શું કામ કરશે ? પણ જેમ જેમ એમના વધારે પ્રસંગમાં આવ્યો તેમ તેમ મને લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ. વલ્લભભાઈએ પણ માન્યું કે જબરી વકીલાત ચાલે છે, મ્યુનિસિપાલિટીમાં ભારે કામ કરું છું, તેથી પણ ભારે કામ આ છે. ધંધો તો આજ છે ને કાલે ન હોય. પૈસા કાલે ઊડી જાય. વારસો તેને ઉડાવી દે. માટે પૈસા કરતાં ઊંચો વારસો એમને માટે હું મૂકી જઉં. આવા વિચારોથી એમણે ઝંપલાવ્યું. વલ્લભભાઈ મને ન મળ્યા હોત તે જે કામ થયું છે તે ન જ થાત. એટલો બધો શુભ અનુભવ મને એ ભાઈથી થયો છે.”