આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
સરદાર વલ્લભભાઈ

ચલાવવામાં આવ્યું છે, કારણ હજી સુધી કોઈ પણ ગેરકાયદે કૃત્ય કરવામાં આવ્યું નથી.

હાઈકોર્ટના જજોએ આ દલીલ સ્વીકારી અને ઠરાવ્યું કે માણસે કાયદાભંગ કર્યો હોય તોપણ જેથી કોઈ જાતનું નૈતિક કલંક ચોંટે એવો દોષ તેમાં ન હોય ત્યાં સુધી કોઈ વકીલની સનદ છીનવી ન લેવાય કે માણસને બીજી બાબતોમાં પણ નાલાયક ન ઠરાવી શકાય. આ ચુકાદાએ વકીલ-બૅરિસ્ટરો માટે કાયદાના સવિનય ભંગની લડતમાં ભાગ લેવાનો માર્ગ મોકળો કર્યો, એટલું જ નહીં પણ એવી લડતમાં જેઓ જેલ જઈ આવ્યા હોય તેવા હરકોઈને માટે ધારાસભાઓ, મ્યુનિસિપાલિટીઓ તથા લોકલબોર્ડોનાં દ્વાર બંધ ન કરી શકાય એવું સ્પષ્ટ કર્યું.

પછી પાટા ઉખેડવામાં, તારનાં દોરડાં કાપવામાં તથા અમદાવાદ વીરમગામનાં રમખાણોમાં ભાગ લેવા બદલ જેમને પકડ્યા હતા તેમના કેસ ચલાવવા માટે એક ખાસ અદાલત નિમાઈ અને ખટલા ચાલ્યા. તેમાંના ઘણા મોટા ભાગના કેસોમાં બૅરિસ્ટર તરીકે સરદાર અને તેમની સાથેના વકીલ તરીકે શ્રી કૃષ્ણલાલ દેસાઈ તથા શ્રી મણિલાલ કોઠારી ઊભા રહ્યા. મોટા ભાગના આરોપીઓને નિર્દોષ પુરવાર કરી તેમણે છોડાવ્યા. એક કેસમાં બહુ રમૂજ થઈ. નડિયાદના સ્ટેશન પાસે રેલના પાટા ઉખેડવાનો એક પાટીદાર ખેડૂત ઉપર આરોપ મુકાયેલો અને તેના ઘરમાં જપ્તી કરીને મુદ્દામાલ તરીકે ચાકીઓ ફેરવવાનાં કેટલાંક પાનાં રેલના પાટાની ચાકીઓનાં ગણીને પકડવામાં આવેલાં. આરોપીના કૂવા ઉપર એન્જિન પંપ મૂકેલાં હતાં એટલે તે માટે એને ઘેર આવાં પાનાં રહેતાં. ચાલુ કેસ દરમ્યાન ગુનાની જગા જોવા માટે જજ, સરકારી વકીલ, સરદાર અને બીજા વકીલો જવાના હતા, ત્યારે જતી વખતે સરદારે મુદ્દામાલ સાથે રાખવાની કોર્ટને વિનંતી કરી. સ્થળ વગેરે જજે તપાસી લીધું એટલે સરદારે કહ્યું કે, મુદ્દામાલમાં પકડાયેલાં પાનાં વડે પાટાની ચાકીઓ ફેરવી જુઓ. ફેરવવા ગયા તો એક્કે પાનું બેસે નહીં. તપાસ ચલાવનારા પોલીસ અમલદારોની કાપો તો લોહી ના નીકળે એવી દશા થઈ. સરદારે જજને કહ્યું કે, આ કેસોમાં આવું ડીંડવાણું છે. ગુનો થયો છે માટે કોઈને પણ પકડીને કેસ તો કરવો જ જોઈએ ને!