આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦
સરદાર વલ્લભભાઈ


હશે. . . . હું જાણું છું કે મારા આ વલણથી સેંકડો જુવાનોનાં હૈયાં ચૂરેચૂરા થઈ જશે. આ સમાધાનથી અસહકારને મરમનો ઘા નહીં લાગે એ વાતની મને હજી ખાતરી નથી થઈ. . . . . પણ આજે એકબીજા વિષે વહેમ છે, પ્રેમભાવ નથી. આ પ્રેમભાવ સ્થાપવાનો પ્રયત્ન છે. . . .આ બધો વખત દેશના મોટા નેતાઓનો વિરોધ કરવો એ દુ:ખદ કામ હતું. આજે એ વિરોધ છોડી દેવો પડે છે એ પણ એટલું જ દુઃખદ છે. છતાં હું તમને (નાફેરવાદીઓને) વિનંતી કરું છું કે તમે એ દુઃખદ સ્થિતિમાંથી પસાર થાઓ. હું તમામ જવાબદારી મૌલાના મહમદઅલીને માથે નાખું છું. મારા મિત્રો જમનાલાલજી અને ગંગાધરરાવ દેશપાંડે જેઓ આ બધો વખત વિરોધમાં અમારી સાથે સામેલ છે તેઓ પણ મારા જેવો મત ધરાવે છે. હવે બેસી જતાં છેવટમાં સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે આ ઠરાવને અમે નથી ટેકો આપતા કે નથી તેનો વિરોધ કરતા.”

ઉપર પ્રમાણે કહીને ઠરાવ ઉપર મત લેવાય ત્યાં સુધી થોભ્યા વિના સરદાર કૉંગ્રેસ મંડપમાંથી ચાલ્યા ગયા. ગુજરાત આખું સમાધાનના ઠરાવની વિરુદ્ધ હતું પણ સરદારના ઉપલા ભાષણ પછી કોઈએ ઠરાવ ઉપર તરફેણમાં કે વિરોધમાં મત ન આપ્યો, જોકે મને કાંઈક એવો ખ્યાલ છે કે દરબાર સાહેબ અને ભાઈ મણિલાલ કોઠારીએ ઠરાવની વિરુદ્ધમાં હાથ ઊંચા કર્યા હતા. ઘણા પ્રતિનિધિઓ તટસ્થ રહ્યા એટલે બહુ મોટી બહુમતીથી ઠરાવ પસાર થયો. તેની મતલબ એ હતી કે, ‘જે કૉંગ્રેસીઓ ધારાસભામાં જવા સામે કોઈ પણ જાતનો ધાર્મિક અથવા બીજો વાંધો ન હોય તેઓને ધારાસભાના ઉમેદવાર તરીકે ઊભા રહેવાની અને આવતી ચૂંટણીઓમાં મત આપવાની છૂટ આપવામાં આવે છે, અને કૉંગ્રેસ ધારાસભા પ્રવેશ સામેની બધી ચળવળ બંધ કરે છે.’

આમ ધારાસભાના પ્રકરણનો અંત આવ્યો. ગયાની કૉંગ્રેસ સુધી સરદાર મહાસમિતિની બેઠકમાં કે કૉંગ્રેસમાં બેસતા જ ન હતા. અમદાવાદની કૉંગ્રેસમાં પોતાનું સ્વાગત ભાષણ તેમણે હિંદીમાં વાંચ્યું હતું. ગયાની કૉંગ્રેસમાં પહેલી જ વાર તેઓ હિંદીમાં બોલ્યા અને ત્યાર પછીની મહાસમિતિની બેઠકોમાં તેમને ઘણી વાર હિંદીમાં બોલવાના પ્રસંગ આવ્યા. તેમના હિંદી ભાષણમાં ગુજરાતી શબ્દો અને રૂઢિપ્રયોગો ઘણી વાર આવી જતા, છતાં હિંદીવાળા તેમ જ ઉર્દૂવાળા તેમના ભાષણનો શબ્દેશબ્દ સમજી શકતા. તેનું મુખ્ય કારણ તો એ હતું કે હિંદીમાં શબ્દ ન જડે ત્યારે તે માટે એમને સંસ્કૃતનો આશ્રય લેવાપણું હતું જ નહીં. હિંદી તથા ઉર્દૂ વક્તાઓએ તેવા પ્રસંગમાં જે શબ્દ વાપર્યો હોય તે ધ્યાનમાં રહી ગયું હોય તો તે વાપરતા નહીં તો ગુજરાતી જ શબ્દ વાપરતા, અને શ્રોતાઓ આગળપાછળના સંબંધ ઉપરથી તેનો અર્થ પકડી લેતા આમ ધીમે ધીમે રાષ્ટ્રીય હિંદુસ્તાનીમાં તેમનું ગાડું સારી રીતે ચાલતું થઈ ગયું.