આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.

૨૪

કોકોનાડા, ગાંધીજીની મુક્તિ અને સ્વરાજ પક્ષ

બોરસદની લડત ચાલુ હતી અને કોકોનાડા કૉંગ્રેસ આવી. લડતનું તંત્ર એવું ચોક્કસ ગોઠવાઈ ગયું હતું કે સરદારને બોરસદ છોડીને આઠ દસ દિવસ બહાર જવામાં અડચણ આવે એમ નહોતું. જોકે કોકોનાડામાં કાંઈ ભારે કામ થવાની આશા નહોતી. દિલ્હી મહાસભામાં પરવાનગી મળી એટલે સ્વરાજ પક્ષે ધારાસભાની નવેમ્બર માસમાં થયેલી ચૂંટણીઓમાં ભાગ લીધો હતો અને તેમાં બંગાળમાં એમને ઠીક ફતેહ મળી હતી. બીજા પ્રાંતોમાં તેઓ ચોક્કસ બહુમતી મેળવી શક્યા નહોતા છતાં ઠીક સંખ્યામાં ચૂંટાયા હોઈ ધારાસભામાં એક ગણનાયોગ્ય પક્ષનું સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું હતું. વડી ધારાસભામાં બીજા સ્વતંત્ર પક્ષો સાથે મળીને સરકાર સામે તેઓ ઘણી વાર બહુમતી કરી શકતા.

૧૯૨૩નું કૉંગ્રેસનું લગભગ આખું વર્ષ અંદર અંદરની લડાલડીમાં ગયું હતું એમ કહીએ તો ચાલે. કાર્યકર્તાઓ એનાથી કંટાળી ગયા હતા. એટલે કોકોનાડામાં સૌના દિલમાં એટલું તો ચોક્કસ હતું કે હવે લડાલડી કરવી નથી. સૌની પરમ ઈચ્છા કૉંગ્રેસનું ભવિષ્યનું કામ નિર્વિઘ્ને ચાલતું થાય એવું વાતાવરણ જમાવવાની હતી. છતાં નાફેર પક્ષના કેટલાક વધુ ઉત્સાહી ભાઈઓ એવા હતા જે દિલ્હી કૉંગ્રેસના ઠરાવને આ કૉંગ્રેસ પાસે રદ કરાવવા ઈચ્છતા હતા. એટલે રાજાજીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું કે દિલ્હીના ઠરાવને ફેરવવાનો ઝઘડો કરવાની જરૂર નથી. ધારાસભામાં ગયેલાઓને પાછા બોલાવવા એ પણ આવશ્યક નથી. પણ ધારાસભાપ્રવેશને અંગે જે વાતો અને ચર્ચાઓ થઈ ગઈ છે તેથી દેશના વાતાવરણમાં ખળભળાટ થયો છે અને કૉંગ્રેસની નીતિ વિષે કાંઈક બુદ્ધિભેદ થયો છે. માટે કૉંગ્રેસની નીતિ તેમ જ કાર્યક્રમમાં કાંઈ ફેર પડ્યો નથી એ સ્પષ્ટ કરવાની બહુ જ આવશ્યકતા છે. તે માટે એમણે દેશબંધુ દાસ સાથે મસલત કરી અને એમની સંમતિ મેળવી નીચેનો ઠરાવ કૉંગ્રેસમાં રજૂ કર્યો. દાસબાબુએ એને ટેકો આપ્યો અને એ પસાર થયો. રાજાજી અને દાસબાબુએ મળીને એ ઠરાવ ઘડેલો હાઈ એ સમાધાનીનો ઠરાવ કહેવાય. આ રહ્યો એ ઠરાવ :

“કલકત્તા, નાગપુર, અમદાવાદ, ગયા અને દિલ્હીની કૉંગ્રેસોએ પસાર કરેલા અસહકારના ઠરાવોનો આ કૉંગ્રેસ ફરીથી સ્વીકાર કરે છે.
૩૪૨