આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૩
બારડોલી સત્યાગ્રહ

હોય તો સીધી રીતે ભરી દો. આ ભાઈઓ જેવો પ્રપંચ કરશે તેમાં તો સરકાર પાસે આપણી આબરૂ જવાની.

“મારી તમને એટલી જ વિનંતી છે કે આ કિસ્સાથી આપણે ધડો લઈએ અને આપણી પોતાની જાતને વિષે વધારે જાગ્રત રહીએ, આપણા ભાઈઓ માટે વધારે કાળજી રાખીએ. આ કિસ્સાને ચેર ચેર કરવામાં કાંઈ સાર નથી. ગંદી ચીજને ચૂંથીએ તો તેમાંથી બદબો જ છૂટ્યાં કરે. ડાહ્યો માણસ તેના ઉપર ખોબો ભરી ધૂળ નાખે અને આગળ જાય. એમાંથી સારું પરિણામ નીપજે.”

લોકો શાંત તો પડ્યા. પણ એમને લાગ્યું કે આ લોકોને એમ ને એમ જવા દઈશું તો બંધારણ નબળું પડશે. માટે એમની પાસે પ્રાયશ્ચિત્ત કરાવવું. બેમાંથી એક જણે લોકોની વાત માની અને પ્રાયશ્ચિત્ત તરીકે સત્યાગ્રહની લડતના ફાળામાં રૂ. ૮૦૦નું દાન કર્યું. બીજા વણિક સજ્જનને સમજતાં થોડી વાર લાગી, પણ છેવટે તેમણે પણ રૂ. ૬૫૧ પ્રાયશ્ચિત્ત તરીકે દાનમાં આપ્યા. આ અને બીજા દાખલાથી લોકો કંઈક હદ ઓળંગવા લાગ્યા. બહિષ્કારનું શસ્ત્ર જ એવું છે કે એમાં વિવેકની મર્યાદા ચાતરી જવાનો હંમેશા ભય રહે છે. અત્યાર સુધી તાલુકાનું કડોદ ગામ લડતમાં નહોતું જોડાયું. ત્યાંના વણિકો મોટા ખાતેદાર હતા અને તેઓ આસપાસનાં બીજાં ગામોમાં પણ જમીન ધરાવતા. તેઓ આ બધી જમીનનું મહેસૂલ ભર્યે જતા હતા. પહેલાં તો લોકોએ ઠરાવ કર્યો કે આવા માણસોની જમીન ગણાતે ન ખેડવી. પછી ઠરાવ કર્યો કે કોઈ પણ મજૂરને એમને ત્યાં કામ કરવા ન જવા દેવા. પછી આગળ વધીને ઠરાવ કર્યો કે કડોદ ઠેકાણે ન આવે ત્યાં સુધી આખા ગામની સાથે સદંતર અસહકાર કરવો. બીજાં ગામોએ પણ ન્યાતનાં અથવા ગામનાં પંચે આકરા બહિષ્કારના ઠરાવો કરવા લાગ્યાં. આ નવા પવનને મર્યાદામાં રાખવાને માટે ગાંધીજીને બહિષ્કારના શસ્ત્ર વિષે સાવચેતીની નીચે પ્રમાણે નોંધ લખવી પડી :

“જેઓ સરકારધારો ભરવા તૈયાર થાય છે તેમની સામે બારડોલીના સત્યાગ્રહીઓ બહિષ્કારનું શસ્ત્ર વાપરવા તૈયાર થઈ જતા સાંભળ્યા છે. બહિકારનું શસ્ત્ર જલદ છે. મર્યાદામાં રહીને સત્યાગ્રહી તે વાપરી શકે છે. બહિષ્કાર અહિંસક તેમ હિંસક પણ હોઈ શકે છે. સત્યાગ્રહીથી અહિંસક

બહિષ્કાર જ વપરાય. અત્યારે તો હું બંને બહિષ્કારનાં થોડાં ઉદાહરણ જ આપવા ઇચ્છું છું :

“સેવા ન લેવી તે અહિંસક બહિષ્કાર. સેવા ન દેવી એ હિંસક બહિષ્કાર.
“બહિષ્કૃતને ત્યાં જમવા ન જવું, તેને ત્યાં વિવાહાદિના પ્રસંગોમાં ન જવું, તેની સાથે સોદો ન કરવો, તેની મદદ ન લેવી એ અહિંસક બહિષ્કાર.