આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૫
બારડોલી સત્યાગ્રહ

લાગતાં નીચેનાં વચનોથી સરદારે લોકોને ખાલસાનો અને જમીન વેચવાનો ડર ન રાખવા પ્રોત્સાહિત કર્યા :

“યાદ રાખજો કે સત્યને ખાતર ખુવાર થવા બેઠા છે તે જ આખરે જીતવાના છે. જેમણે અમલદારો જોડે કૂંડાળાં કર્યા હશે તેમનાં મોં કાળાં થવાનાં છે. એમાં મીનમેખ ફરક પડવાનો નથી. જાણજો કે તમારી જમીન તમારાં બારણાં ખખડાવતી તમારે ત્યાં પાછી આવવાની છે અને કહેવાની છે કે હું તમારી છું.”

થોડા દિવસ સુધી તો પોતાનાં ભાષણોમાં સરકારી જાહેરનામાંનાં જૂઠ્ઠાણાં અને ધમકીઓનાં પોકળ ઉઘાડાં પાડી સરદાર સરકારની આબરૂના કાંકરા કરવા લાગ્યા :

“સરકાર કહે છે કે ૧૪૦૦ એકર જમીન તેણે વેચી નાખી છે અને હજી ૫૦૦૦ એકર વેચવાના છે. સરકારના મહેસૂલઆકારણી કમિશનર કહે છે કે જમીનની કિંમત આકારના ૧૨૩ ગણી થઈ છે. વેચેલી જમીનની એટલી કિંમત લીધી છે કે ઓછીવત્તી તે સરકાર જાહેર કરે. જેટલી કિંમતે જમીન સરકારે વેચી હોય, તે પ્રમાણે મહેસૂલ ઠરાવે. . . .
“એ જમીન રાખનારાઓની સામે તો પારસી ભાઈઓ અને બહેનોની ટુકડીએ ઊભી રહેશે અને કહેશે : મારો ગોળીઓ અને પચાવો જમીન. તમે જમીનમાં હળ મૂકો તે પહેલાં અમારાં લોહીની નીકો વહેરાવવી પડશે અને અમારાં હાડકાંનું ખાતર કરવું પડશે.
“જાહેરનામામાં પઠાણોની ચાલચલગતને ‘દરેક રીતે નમૂનેદાર’ કહી છે, તો કરોને તમે એનું અનુકરણ. તમારા અમલદારોને કહી દો કે એ પઠાણો જેવી નમૂનેદાર ચાલ ચાલો, પછી તમારે કોઈની સારી ચાલના જામીન લેવાપણું જ નહીં રહે. . . .
“સરકારને આપણું સંગઠન ખૂંચે છે. ખેડૂતોને મારી સલાહ છે કે તમને દગો દે તેને બિલકુલ જતા ન કરો. તેને કહી દો કે આપણે એક હોડીમાં ઝુકાવ્યું છે. તેમાં તારે કાણું પાડવું હોય તો તું હોડીમાંથી ઊતરી જા, અમારે ને તારે વહેવાર નહીંં. આ સંગઠન અમારા રક્ષણ માટે છે, કોઈને દુ:ખ દેવા માટે નથી. સ્વરક્ષા માટે સંગઠન ન કરવું એ આપઘાત કરવા બરાબર છે. વૃક્ષને વાડ કરી બચાવીએ છીએ, ગેરુ લગાવીને ઊધઈથી બચાવીએ છીએ, તે આવડી જબરી સરકાર સામે લડત માંડી છે તેમાં ખેડૂત પોતાના રક્ષણ માટે વાડ શા સારુ ન કરે ? . . . તમે કાંઈ કોઈની રોજી છીનવી લેતા નથી. તમે તો માત્ર એની સાથે સંબંધ છોડો છો, એની સેવા લેવી બંધ કરો છો. એ બહિષ્કાર કરવાનો પ્રત્યેક સમાજનો જન્મસિદ્ધ હક છે.
“સરકાર કહે છે કે પહેલાં પૈસા ભરી દો. ચોર્યાસી તાલુકાએ ભરી જ દીધા છે તો. તેથી તમે તેને કયો ઇન્સાફ આપ્યો ? . . .