આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૬
સરદાર વલ્લભભાઈ


વલ્લભભાઈ : ‘ભલે ત્યારે, તેઓ સહી કરે તો કરવા દો. પણ તારે તો સર ચૂનીલાલને સાફ કહી દેવાનું કે આમાં સરકારને હાથે સત્યનો ત્યાગ થાય છે.’

હું ગયો, સર ચૂનીલાલની સાથે વાતો કરી. તેમને કંઈ એ વાત નવી નહોતી. તેમણે કહ્યું: ‘તમે તમારી સ્થિતિની ચોખવટ કરો એ બરાબર છે. સરકારને પણ હું એ જણાવીશ.’ એટલામાં શ્રી વલ્લભભાઈ આવ્યા. તેમણે વળી પાછી એની એ જ વાત ફોડ પાડીને કહી અને જણાવ્યું : ‘સરકારને આવા અર્થહીન પત્રથી સંતોષ થશે એમ મને લાગતું નથી, પછી તો તમે જાણો.’

સર ચૂનીલાલને કશી શંકા જ નહોતી. તેઓ રાજી થયા. ભગવાનની જેમ સરકારની ગતિ અગમ્ય છે. શ્રી વલ્લભભાઈ એ કહ્યું કે સુરતના સભ્યો એ કાગળ લખવાને રાજી હોય તો મને વાંધો નથી. એટલે તરત જ સમાધાન નક્કી થયું.

સર ચૂનીલાલ મહેતાને વિષે બે શબ્દ અસ્થાને ન ગણાય. સર ચૂનીલાલને બીજા કોઈ પણ જણ કરતાં સરકારના મનની વિશેષ ખબર હતી, એટલે તેઓ બધું જોઈ વિચારીને અને સમજીને જ કરતા હતા. આ અણીને વખતે તેમની દેશભક્તિ તરી આવી હતી, અને સરકાર પ્રતિષ્ઠાના ભૂતને વળગતી ઉઘાડી પડે એ ભોગે પણ આ પ્રકરણનો અંત આણી બારડોલીના ખેડૂતને ન્યાય મળે એ વિષે તેઓ આતુર હતા. સરકાર કાંઈ થોડી જ આ પહેલી વાર ઉઘાડી પડવાની હતી !

પણ જો સરકાર પ્રતિષ્ઠાની માયાને વળગી સંતોષ માનવાને તૈયાર હતી, તો શ્રી વલ્લભભાઈ તત્ત્વના સત્ય વિના સંતોષ માને એમ નહોતું. તેમને તો સંપૂર્ણ, સ્વતંત્ર ન્યાયપુર:સર તપાસ જોઈતી હતી. આટલું કરવાને તો સરકાર તૈયાર હતી જ, પણ ત્યાંયે પ્રતિષ્ઠાની માયા વળગેલી હતી જ. પેલો કાગળ લખવામાં આવે કે તરત જ તપાસ તે જે શબ્દોમાં શ્રી વલ્લભભાઈએ માગી હતી તે જ શબ્દોમાં — બળજોરીનાં કૃત્યોની તપાસ બાદ કરીને તેના તે જ શબ્દોમાં — જાહેર થશે એમ નક્કી થયું. અને તલાટીઓને પાછા લેવા બાબત, જમીન પાછી આપવા બાબત અને કેદીઓને છોડવા બાબત સુરતના સભ્યો રેવન્યુ મેમ્બરને એક શિરસ્તા મુજબ કાગળ લખે એટલે તરત ઘટતું કરવામાં આવશે એમ કર્યું. છેવટનો નુકસાનીના બદલા વિષેનો ભાગ કાગળમાં લખવાનો નહોતો, પણ સરકારી રાહે ઘટતું કરવામાં આવશે એમ કર્યું. શ્રી વલ્લભભાઈને આથી વધારે કશું જોઈતું નહોતું. તેમને તો કામની સાથે વાત હતી, નામની સાથે વાત નહોતી.